Mumbai

પુણેમાંથી IS સાથે જોડાયેલો એન્જિનિયર ઝડપાયો, હુમલાની ફિરાકમાં હતો

By GS TEAM
29 Oct 20252 mins read
પુણેમાંથી IS સાથે જોડાયેલો એન્જિનિયર ઝડપાયો, હુમલાની ફિરાકમાં હતો

- મહારાષ્ટ્ર એટીએસના દ્વારા અનેક સ્થળે દરોડા 

- અન્ય યુવકોનું બ્રેઇનવોશ કરતો હતો, અલ-કાયદા સાથે જોડાયેલી સામગ્રી પણ મળી, પોલીસ કસ્ટડીમાં મોકલાયો

મુંબઇ : મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ  સ્કવૉડ (એટીએસ) ટીમે આઇએસ મોડયુલ કેસમાં કોંઢવાથી ૩૨ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર ઝુબેર હંગરગેકરની ધરપકડ કરી છે. તેના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરાતા વાંધાજનક સામગ્રી અને અન્ય ગુનાહિત દસ્તાવેજો  મળ્યા હતા. અલ-કાયદા અને આઇએસ મળીને ભારતમાં કોઇ મોટા હુમલાની ફિરાકમાં હોવાનો પર્દાફાશ આ ધરપકડો બાદ થયો છે. હજુ અન્ય આરોપીઓ પણ એજન્સીઓની રડારમાં હોવાની શક્યતાઓ છે.  

આરોપી ઝુબેરને કોર્ટમાં હાજર કરવામાં  આવ્યો હતો. કોર્ટે તેને ૪ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. મૂળ સોલાપુરનો કોમ્પ્યુટર એન્જિનિયર ઝુબેર હાલમાં કોંઢવામાં રહેતો હતો. તાજેતરમાં એટીએસએ આઇએસઆઇએસ મોડયુલ સંબંધિત કેસમાં  કોંઢવા, વાનવડી, ખડકી સહિત પુણેમાં વિવિધ ભાગોમાં દરોડા પાડયા હતા. આ મામલામાં શંકાના આધારે ૧૮ લોકોને તાબામાં લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ૧૯ લેપટોપ, મોબાઇલ ફોન અન્ય સમગ્રી જપ્ત કરવામાં આવી હતી. એટીએસને કેસની તપાસ દરમિયાન ઝુબેરની સંડોવણીની  જાણ થઇ હતી. તે આતંકવાદી સંગઠનના સંપર્કમાં હોવાનું કહેવાય છે. તેની ગતિવિધિ પર એક મહિનો નજર રાખ્યા બાદ પૂછપરછ કરવામાં આવી હતી. છેવટે એટીએસે કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. ૨૦૨૩માં પુણેમાં પકડાયેલા આઇએસઆઇએસ આતંકવાદીઓએ મુંબઇ  પુણે અને ગુજરાતના મુખ્ય શહેરોમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડયું હતું. કોલ્હાપુર અને સાતારામાં જંગલોમાં બોમ્બની તપાસણી કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમણે પુણેના કોંઢવા વિસ્તારમાં બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. આરોપી ઝુબેરના કોમ્પ્યુટરમાંથી કેટલીક વાંધાજનક માહિતી મળી છે. તે આ સંગઠનના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. ઝુબેર અન્ય યુવકોનું બ્રેઇનવોશ કરીને આતંકના રસ્તે લઇ જવાના પ્રયાસ પણ કરી રહ્યો હતો.