Mumbai

પવાર-રેડ્ડીની જોડીએ 275 કરોડની લાંચ ઉસેડી હોવાની ઈડીને શંકા

By GS TEAM
22 Aug 20253 mins read
પવાર-રેડ્ડીની જોડીએ 275 કરોડની લાંચ ઉસેડી હોવાની ઈડીને શંકા

યુરો અને ડોલરના ચલણમાં પણ લાંચ લઈ રકમ વિદેશ ભેગી કરી

વસઈ વિરારના માજી કમિશનર અનેલ પવાર તથા ટાઉન પ્લાનિંગના રેડ્ડી વતી સીએ તથા આર્કિટેક્ટસ વસૂલાત કરતા હતાઃ ૫.૫૧ કરોડ ચોરસ ફૂટ બાંધકામો મંજૂર કર્યાં

મુંબઈ -  વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવાર અને નગર રચના આયોજનના ડેપ્યુટી ડિરેક્ટર વાય.એસ રેડ્ડીએ કરોડો રૃપિયા એકઠા કર્યા હોવાનું ઇડી તપાસમાં ખુલાસો થયો છે. ઇડીએ જણાવ્યું હતું કે અનિલ પવારે શહેરમાં સાડા પાંચ કરોડ ચોરસ ફૂટના બાંધકામોને ગેરકાયદેસર રીતે મંજૂરી આપીને લાંચ તરીકે ૨૭૫ કરોડ રૃપિયા સ્વીકાર્યા હતા. તેમ જ આ પૈસા સીધા વિદેશમાં પણ વ્યવહાર કરવામાં આવી રહ્યા હોવાનો જણાવ્યું છે.

         નાલાસોપારામાં ૪૧ અનધિકૃત ઇમારતોના કિસ્સામાં, ઇડીએ ૧૩ ઓગસ્ટના રોજ વસઈ- વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવાર, નગર રચના આયોજનના ડેપ્યુટી ડિરેક્ટર વાય.એસ રેડ્ડી અને બે ભૂ-માફિયાઓની ધરપકડ કરી છે. ઇડી તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. નવી ઇમારતો માટે પરવાનગી આપતી વખતે, કમિશનર અનિલ પવાર પ્રતિ ચોરસ ફૂટ પચ્ચીસ રૃપિયા અને વાય.એસ રેડ્ડી ૧૦ રૃપિયા વસૂલતા હતા. પરંતુ, આ રકમનું વિતરણ કરવા માટે એ, બી, સી જેવા કોડ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાંચની રકમ તે મુજબ વહેંચવામાં આવી હતી. તે મુજબ, જુનિયર અધિકારી પ્રતિ ચોરસ ફૂટ ૧ થી ૫ રૃપિયાના દરે લાંચ લેતા હતા, તપાસમાં જાણવા મળ્યું છે.

વાય.એસ રેડ્ડી નગર રચના વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કામ કરતી વખતે અનિલ પવાર સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા. બન્નેએ મળીને લાંચ વસૂલવા માટે એક સિસ્ટમ બનાવી હતી. આ માટે દર વસૂલવામાં આવતા હતા. વસઈ વિરારના આકટેક્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા આ રકમ સ્વીકારવામાં આવી હતી. ઇડી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ મુજબ, તેમના ૩ વર્ષના કાર્યકાળ દરમિયાન, કમિશનર અને વાય.એસ રેડ્ડીએ ૫.૫૧ કરોડ ચોરસ ફૂટ બાંધકામ વિસ્તાર માટે પરવાનગી આપી હતી. તેમાં શહેરી અને ગ્રીન બેલ્ટ વિસ્તારોનો સમાવેશ છે. પ્રારંભિક બાંધકામ પરવાનગી સીસી અને ઓસી આપતી વખતે આ લાંચ લેવામાં આવી હતી. આમાંથી, તેમને ૨૭૫ કરોડ રૃપિયાથી વધુની લાંચ મળી હતી, ઇડીએ કોર્ટને જણાવ્યું.

વિદેશમાં પૈસા વાળવામાં આવી રહ્યા હોવાની શંકા..

ઇડીને શંકા છે કે બાંધકામ પરવાનગી આપતી વખતે લાંચના રૃપમાં મળેલા પૈસા વિદેશમાં વાળવામાં આવ્યા હતા. ઘણી વાર, લાંચની રકમ યુરો અને ડોલરમાં લેવામાં આવતી હતી. ઇડીના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કવિતા પાટીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ ગુનામાંથી મળેલા પૈસા દેશની બહાર પણ વાળવામાં આવ્યા હશે અને તેથી આંતરરાષ્ટ્રીય તપાસની જરૃરિયાત વ્યક્ત કરી હતી.

       કોર્ટે અનિલ પવાર અને ટાઉન પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડી સહિત ચાર આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. આરોપીઓની ૧૩ ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, ચારેયને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.