263 કરોડના ઇન્કમટેક્સ ફ્રોડ કેસમાં ઇડીએ રૂા. 14 કરોડની સંપત્તિ જપ્ત કરી
નકલી ટીડીએસ દ્વારા ઉચાપત બાદ કંપનીઓ સહિત અન્યત્ર રોકાણ
આઇપીએસ ઓફિસરના પતિ પુરુષોત્તમ ચવ્હાણના ફ્લેટ ઉપરાંત અન્ય આરોપીઓની જમીનો, બેન્ક ડિપોઝિટ સહિતની અસ્ક્યામતો જપ્ત કરાઈ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: મહારાષ્ટ્રમાં રૂા. ૨૬૩ કરોડના કથિત ઇન્કમટેક્સ રિફંડ ફ્રોડ કેસ સંબંધિત મની લોન્ડરિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) અધિકારીના પતિ સહિત અન્ય આરોપીની અંદાજે રૂા. ૧૪.૦૨ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
ઇડીએ પુરુષોત્તમ ચવ્હાણનો મુંબઇમાં એક ફ્લેટ, રાજેશ બ્રિજવાલ બત્રેજાની લોનાવલા અને ખંડાલામાં જમીન, અનિરૂદ્ધ ગાંધીની એક કંપનીની બેંક ડિપોઝીટ, રાજેશ શેટ્ટી અને ભૂષણ અનંત પાટીલની વીમા પોલીસી તથા અમૂક ફિક્સ ડિપોઝિટની રકમ સહિત રૂા. ૧૪.૦૨ કરોડની માલમત્તા કામચલાઉ ધોરણે જપ્ત કરી છે, એમ તપાસ એજન્સીએ શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.
પુરુષોત્તમ ચવ્હાણ આઇપીએસ અધિકારીનો પતિ છે આ મિલકતોને ફ્રીઝ કરવા માટે પ્રેવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએમએ) હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ મની લોન્ડરિંગનો કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા ભૂતપૂર્વ સિનિયર ટેક્સ આસિસ્ટન્ટ તાનાજી અધિકારી અને અન્યો સામે નકલી ટીડીએસ રિટર્ન દ્વારા અંદાજે રૂા. ૨૬૩ કરોડના કૌભાંડની એફઆઇઆરમાંથી ઉદ્ભવ્યો હતો.
બત્રેજાએ ગાંધીની મદદથી રૂા. ૫૫.૫૦ કરોડની ગુનાની આવક ભારતની બહાર ડાયવર્ટ કરવામાં અધિકારી અને અન્યને મદદ કરી હતી એવો ઇડીએ આક્ષેપ કર્યો હતો. ગુનાની આવકને ડાયવર્ઝન કર્યા પછી બત્રેજાએ દુબઇમાં અન્ય વ્યક્તિઓની મદદથી આ ભંડોળની ભારતની બહાર છુપાવ્યું હતું. તેનો અમૂક રકમની શેર રોકાણની આડમાં મુંબઇ અને ગુરુગ્રામ સ્થિત બે ભારતીય કંપનીઓમાં રોકાણ કર્યું હતું.
બત્રેજાએ સ્વૈચ્છિક રીતે આ ભંડોળનો એક નાનો હિસ્સો રૂા. ૧.૭૦ કરોડ પરત મોકલ્યો હતો. ઇડીએ દાવો કર્યો હતો કે બાકીના પૈસા પાછા લાવવાને બદલે બત્રેજાએ ચવ્હાણ સાથે મળીને ડાયવર્ટ કર્યા હતા. તાનાજી અધિકારી, પાટીલ, શેટ્ટી, બત્રેની અને ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ છે. આ કેસમાં અધિકારી અને અન્ય ૧૦ સામે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં અત્યાર સુધી રૂા. ૧૮૨ કરોડની સંપત્તી જપ્ત કરાઇ છે.