મનસુખ ગાલાના સાડીના શો રુમ ભરત ક્ષેત્ર સહિત પાંચ સ્થળે ઈડીના દરોડા
ગાલાના સીએ દિનેશ શાહ સહિત અન્યોને ત્યાં દરોડા
બનાવટી દસ્તાવેજો તથા નકલી સહીથી ભાગીદાર બિલ્ડર અરવિંદ શાહ સાથે ૧૧૩ કરોડની ઠગાઈ કરી હોવાના કેસમાં તપાસ
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ખાતાની ટીમે ૧૧૩ કરોડની છેતરપિંડીના મામલે સાડીના જાણીતા સ્ટોર ભરત ક્ષેત્ર સહિત પાંચ જગ્યાએ રેડ પાડી હતી. મુંબઈના વેપારી મનસુખ ગાલા અને તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દિનેશ શાહ સામે ગાલાના ભાગીદાર બિલ્ડર અરવિંદ શાહ સાથે ૧૧૩.૨૫ કરોડની ે છેતરપિંડી નો કેસ ૨૦૧૯માં નોંધાયો હતો. આ કેસમાં મની લોન્ડરિંગની પણ તપાસ ચાલતી હોવાથી ઈડી દ્વારા મનસુખ ગાલાના દાદર તથા પરેલ ખાતેના સ્ટોર ઉપરાંત અન્ય સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
મનસુખ ગાલ ા સામે તેમના ભાગીદાર અરવિંદ જયંતી લાલ શાહ સાથે ૧૧૩ કરોડની છેતરપિંડી કરવાનો કેસ મુંબઈમાં પોલીસની ઈલેનોમિક ઓફેન્સીવ વિંગમાં નોંધવામાં આવ્યો હતો. મનસુખ ગાલા અને તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દિનેશ શાહ સામે ફરિયાદ નોંધાયા બાદ કેસની તપાસ માં મની લોન્ડરિંગનો એન્ગલ પણ સામે આવતાં હવે ઈડી દ્વારા આ કેસમાં તપાસ ચાલુ થઈ છે.
૨૦૧૯માં ઈકોનોમિક ઓફેન્સ વિંગ માં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર મનસુખ ગાલાએ સીએ દિનેશ શાહની મદદથી એસ.બી. ડેવલપર્સ નામની કંપનીમાં તેમના ૫૦ ટકાના ભાગીદાર અરવિંદ જયંતીલાલ શાહ સાથે ૧૧૩.૨૫ કરોડની ઠગાઈ કરી હતી.
મનસુખ ગાલાએ દિનેશ શાહની મદદથી કંપનીના બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હતા, અરવિંદ શાહની નકલી ડિજિટલ સિગ્નેચર મેળવી હતી અને જુદાં જુદાં સરકારી ખાતાંમાં આ દસ્તાવેજો રજૂ કરી અરવિંદ શાહને ૫૦ને બદલે પચ્ચીસ ટકાના ભાગીદાર બનાવી દીધા હતા.
અરવિંદ શાહ પરેલના બિલ્ડર છે. તેમણે કેટલીક બિલ્ડિંગનું કામ હાથમાં લીધું હતું. તેમાંથી એક બિલ્ડિંગમાં ચાલતી શાળાની લીઝ દૂર કરાવવા બીએમસીમાં પૈસા ભરવા પડે તેમ હતા. આ માટે તેમણે ગાલા પાસેેથી નાણાંકીય સહાય મેળવી લીધી હતી. તે વખતે ગાલાએ પોતાને ૫૦ ટકાના ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. શાહે પૈસાની જરુર હોવાના કારણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.
આ તમામ બિલ્ડિંગ પ્રોજેક્ટમાં કુલ ૪૫૩ કરોડ મળવાની ધારણા હતી. તેમાંથી ૫૦-૫૦ ટકા ભાગીદારીને લીધે દરેકને ૨૨૬ કરોડ મળવાની ધારણા હતી. પરંતુ, ગાલાએ ઠગાઈ કરી અરવિંદ શાહને પચ્ચીસ ટકાના જ ભાગીદાર બનાવતાં અરવિંદ શાહને ૧૧૩. ૨૫ કરોડનું નુકસાન થયું હતું. આથી અરવિંદ શાહે ગાલા સહિત અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી.