એક્સાઈઝ કમિશનરે અફવાઓ ફગાવી
સંખ્યાબંધ સોશિયલ મીડિયા પોસ્ટસમાં ડ્રાય ડે રદ થયો હોવાના દાવા બાદ સ્પષ્ટતા
મુંબઈ - રાજ્ય સરકાર દ્વારા હોળી, મોહરમ અને ગાંધી જયંતિ માટે કાયદેસર ડ્રાય ડે રદ કરવાના અહેવાલોને મહારાષ્ટ્ર એક્સાઇઝ કમિશનર રાજેશ દેશમુખે ફગાવી દીધા છે. હાલની ડ્રાય ડેની નીતિ યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી એમ તેમણે કહ્યુું હતું.
દેશમુખે સ્પષ્ટતા કરી કે રાજ્ય મહારાષ્ટ્ર પ્રતિબંધક કાયદા હેઠળ આઠ દિવસ ફરજિયાત ડ્રાય ડે લાગુ કરવાનું ચાલુ રાખશે.
કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે હોળી, મોહરમ અને ગાંધી જયંતિ પર દારૃના વેચાણ પરનો પ્રતિબંધ રદ કરવામાં આવ્યો છે.
હાલના નિયમો અનુસાર, ૨૬જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ), ૩૦ જાન્યુઆરી (શહીદ દિવસ), ૧મે (મહારાષ્ટ્ર દિવસ), અષાઢી એકાદશી, ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), અનંત ચતુર્દશી, ૨ ઓક્ટોબર (ગાંધી જયંતિ/નિષેધ સપ્તાહ) અને કાતકી એકાદશીના દિવસે દારૃનું વેચાણ પ્રતિબંધિત હોય છે.
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પ્રોહિબિશન એક્ટની કલમ ૧૪૨ હેઠળ, જિલ્લા કલેક્ટરોને તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં વધારાના ડ્રાય ડે જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે.


