ધારાસભ્યની દીપડાના વેશમાં વિધાન મંડળ સંકુલમાં એન્ટ્રી
નાગપુરમાં સત્ર ચાલુ છે ત્યારે જ રહેણાંક વિસ્તારમાં ઘૂસેલા દીપડાએ એક કલાકમાં સાતને ઘાયલ ઃ જુન્નરમાં ૩ માસમાં દીપડાને કારણેે ૫૫નાં મોત
મુંબઈ - નાગપુરમાં વિધાનમંડળનું સત્ર ચાલી રહ્યું છે અને દીપડાની દહેશત વિશે ચર્ચા ચાલી રહી છે ત્યારે જ આજે નાગપુરમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસેલા દીપડાના હુમલામાં સાત જણ ઘાયલ થયા હતા. જ્યારે બીજી બાજુ પુણે જિલ્લાના જુન્નરમાં વધતા જતા દીપડાના હુમલાને કારણે ઉભી થયેલી ભયજનક સ્થિતિનો ખ્યાલ આપવા જુન્નરના વિધાનસભ્ય શરદ સોનાવણે આજે વિધાનભવનમાં દીપડાનું મહોરૃં પહેરીને અને વેશ ધારણ કરીને આવ્યા હતા.
શિવસેનાના એમએલએ સોનાવણેએ પત્રકારોને જણાવ્યું હતું કે જુન્નરના લોકો દીપડાની દહેશત વચ્ચે જીવી રહ્યાં છે. જુન્નર તાલુકામાં છેલ્લાં ત્રણ મહિનામાં દીપડાના હુમલામાં ૫૫ જણ માર્યા ગયા છે. સરકારે જુન્નર અને અહિલ્યાનગરમાં ૨૦૦૦ દીપડાને રાખી શકાય એટલાં મોટા રેસ્ક્યુ સેન્ટર ઉભા કરવા જોઇએ.
દરમિયાન બીડ જિલ્લામાં ડોઇઠન- આષ્ટિ રોડ ઉપર ગઇ રાત્રે એક દીપડી તેનાં બે બચ્ચાં સાથે ફરતી જોવા મળી હતી. આ ક્ષેત્રના ફોરેસ્ટ અધિકારીએ આસપાસના ગામડાના લોકોને રાત્રે એકલા ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી.


