હની ટ્રેપમાં ફસાઈ સંવેદનશીલ વિગતો આપી દીધી
કુરુલકર પાકિસ્તાનીઓના સંપર્કમાં હતા, જામીન બાદ ભાગી જઈ શકે છેઃ હાઈકોર્ટ
મુંબઈ - ડીઆરડીઓના ભૂતપૂર્વ વૈજ્ઞાાનિક પ્રદીપ કુરુલકરની જામીન અરજી બોમ્બે હાઈકોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. પાકિસ્તાનની એક કથિત જાસૂસને સંવેદનશીલ માહિતી મોકલવાના આરોપ હેઠળ કુરુલકરની વર્ષ ૨૦૨૩માં ધરપકડ કરાઈ હતી.
ત્રીજી મે ૨૦૨૩મીએ મહારાષ્ટ્ર એન્ટીટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ કુરુલકરની એક કથિત હનીટ્રેપ જાસૂસી કેસમાં ધરપકડ કરી હતી. વૈજ્ઞાાનિક અને પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે કથિત રીતે સંકળાયેલી મહિલા વચ્ચેની ચેટસ મળી આવી હતી જેમાં આરોપીએ ગુપ્ત માહિતી મહિલાને આપી હતી તેવો દાવો એટીએસની ચાર્જશીટમાં કરાયો હતો. તે વખતે પુરુલકર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (આરએન્ડડી- રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ) ડિરેકટર પદ પર હતા. કથિત મહિલા જાસૂસે આરોપી સાથે ઓનલાઈન સંપર્ક કરવા સંખ્યાબંધ ફેક આઈડેન્ટિટીની ઉપયોગ કર્યો હતો અને બે જુદા ફોન નંબરનો ઉપયોગ કરીને મેસેજિંગ પ્લેટફોર્મ પર એકાઉન્ટસ બનાવ્યા હતા. બંને ફોન નંબર યુકે (યુનાઈટેડ કિંગડમ)નો કન્ટ્રીકોડ ધરાવે છે.
પ્રારંભિક તપાસ ડીઆરડીઓએ કરી હતી તે પછી એફઆઈઆર નોંધાયો હતો તેવું પબ્લિક પ્રોસીકયુટર મનકુવર દેશમુખે કહ્યું હતું. આરોપીની જામીન અરજીનો દેશમુખે વિરોધ કર્યો હતો.
જે માહિતી કથિત રીતે આપવામાં આવી હતી તે વિગતો જાહેરમાં ઉપલબ્ધ છે તેવી દલીલ આરોપીના વકીલે કરી હતી. અન્ય વૈજ્ઞાાનિકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા જેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે આરોપીએ આપેલી માહિતી પબ્લિક ડોમેઈન (જાહેરમાં ઉપલબ્ધ)માં ન હતી અને કેટલીક તો ચાલી રહેલાં પ્રોજેક્ટસ બાબતમાં હતી. તેવી દલીલ સરકારી વકીલે કરી હતી. સંવેદનશીલ માહિતી અંગત ફોન પર રાખવી નહીં જોઈએ તેવી ગાઈડલાઈન્સ અમલમાં છે તેવું ફરિયાદપક્ષે જણાવ્યું હતું.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ શિવકુમાર દિધેએ આરોપીની જામીન અરજી ફગાવ હતી. આરોપી પાકિસ્તાની મહિલા જાસૂસના સંપર્કમાં હતા અને તેમને જામીન પર મુક્ત કરવાની તે ભાગી શકે છે તેવું અવલોકન જસ્ટિસ દિધેએ કર્યું હતું.
૨૦૨૩ની ત્રીજી મે તારીખે એટીએસએ આરોપીની ધરપકડ કરી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં પુણેની એક સ્પેશિયલ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી હતી તે પછી આરોપીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
સીંગલ જજની બેન્ચે અવલોકન કર્યું હતું કે 'અરજદાર મહત્ત્વના પદ પર હતા અને તેમણે પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ ઓફિસર (પીઆઈઓ)ને માહિતી આપી હતી. અરજદાર હવે પદ પરથી નિવૃત્ત થયા છે પણકેટલાંક સાક્ષીઓ તેમની હેઠળ નોકરી કરતા હતા અને જામીન પર છોડવામાં આવે તો તેમના પર દબાણ લાવી શકે છે અથવા ભાગી શકે છે.
આરોપીના વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ચાર્જશીટ રજુ કરવામાં આવી છે અને તેઓ લગભગ ૩ વર્ષથી જેલમાં છે. બેન્ચે આરોપીની જામીન અરજી ફગાવી હતી.


