કંકોતરી કે આમંત્રણ પત્રિકા ફેંકશો નહીં : એમાંથી પર્યાવરણપૂરક ગણેશમૂર્તિઓ બનાવાશે
પર્યાવરણ માટે હાનિકારક પીઓપીની મૂર્તિઓનો પર્યાય
અંધેરી-વર્સોવામાં પત્રિકાઓ ભેગી કરવા રૃમ ગોઠવાયા
મુંબઇ : સામાન્ય રીતે લગ્ન અથવા બીજી કોઈ કાર્યક્રમ પતી ગયા પછી લોકો કંકોતરી અને આમંત્રણપત્રિકાઓ કચરામાં ફેંકી દેતા હોય છે. આ પત્રિકાઓ કચરામાં ફેંકવાથી દેવ-દેવીઓનું અપમાન ન થાય માટે આ બધી પત્રિકાઓ એકઠી કરીને તેમાંથી કાગળ લુગદી બનાવી પર્યાવરણપૂરક ગણેશમૂર્તિઓ તૈયાર કરવાની યોજના અંધેરીના એક મંડળ તરફથી જાહેર કરવામાં આવી છે.
અંધેરીના સ્વપ્નાક્ષય મિત્ર મંડળ તરફથી આ પર્યાવરણપૂરક ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. વર્સોવા મેટ્રો સ્ટેશન, ચાચા નેહરુ ઉદ્યાન, અંધેરી પશ્ચિમના જે. પી. રોડ પર કંકોતરીઓ, ઇન્વિટેશન કાર્ડ તેમ જ અન્ય કાર્યક્રમો-સમારંભોની આમંત્રણપત્રિકાઓ ભેગી કરવા માટે ખાસ ડ્રમ મૂકવામાં આવ્યા છે, એમ મંડળના મુખ્ય માર્ગદર્શક દેવેન્દ્ર આંબેકરે જણાવ્યું હતું.
જુદા જુદા ડ્રમમાં આમંત્રણપત્રિકાઓ ભેગી કરીને ભીંજવવામાં આવશે અને એમાંથી કાગળની લુગદી તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ ગણેશોત્સવના ચાર મહિના પહેલાં આ લુગદી મૂર્તિકારો આઠ ફૂટથી માંડીને વીસ ફૂટની મૂર્તિઓ ઘડવામાં આવશે.
આમ તો પ્લાસ્ટર ઓફ પેરીસ મૂર્તિઓ પર છેલ્લાં લગભગ બે વર્ષથી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ લોકડાઉન વખતે મૂર્તિકારોને ઘણું સહન કરવું પડયું હોવાથી અને પીઓપીની મૂર્તિઓ તૈયાર થઈ ગઈ હોવાથી તેના અમલ નહોતો કરવામાં આવ્યો, પણ હવે પર્યાવરણ માટે હાનિકારક પીઓપીની મૂર્તિની જગ્યાએ કાગળમાંથી તૈયાર થનારી પર્યાવરણપૂરક મૂર્તિનો વિકલ્પ મળી ગયો છે.