મુલુંડના એક શીખ સંગઠને ફરિયાદ આપી
એક પોસ્ટરમાં રણવીરને શીખ તરીકે સિગરેટ પીતો દર્શાવાતાં વાંધો લેવાયો
મુંબઈ - 'ધુરંધર ટુ' ફિલ્મનાં પોસ્ટરમાં શીખ સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડાઈ હોવાના આરોપસર એક શીખ સંગઠન દ્વારા ફિલ્મના નિર્માતાઓ તથા મુખ્ય અભિનેતા રણવીર સિંહ સામે મુંબઈ પોલીસને ફરિયાદ અપાઈ છે.
વિગત મુજબ, ૧૭ માર્ચે મુલુંડ પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્ર શીખ નામના જૂથ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં ફિલ્મના એક પોસ્ટર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આમાં કથિત રીતે અભિનેતાએ શીખ વેશભૂષામાં દર્શાવવામાં આવ્યો છે. જેમાં પાઘડી, દાઢી અને કડાનો સમાવેશ થાય છે. જે શીખ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. આ જૂથે તે જ પોસ્ટમાં આ શીખ પાત્રને સિગરેટ સાથે દર્શાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
જૂથે આ ચિત્રણ અપમાનજનક ગણાવી ે ફિલ્મના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ, આવા પ્રકારની સામગ્રી હટાવવા અને ભવિષ્યમાં આવા દ્રશ્યોનું ચિત્રણ ન કરવા પર ભાર મૂક્યો હતો.
જો કે, પોલીસે તત્કાળ એફઆઈઆર દાખલ કરી નથી.


