26/11 ના હુમલામાં કસાબ સામે સાક્ષી આપનારી દેવિકાને પાંચ વર્ષે ઘર ફાળવાયું
સીએસએમટી પરના ગોળીબારમાં ઘવાઈ ત્યારે નવ વર્ષની હતી
દેવિકાએ ૨૦૨૦માં અરજી કરી હતી, સરકારના ઠાગાઠૈયા બાદ હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું, એક વખત ફલેટ ફાળવ્યો તો બિલ્ડિંગ જ ન બની
મુંબઈ - 26 નવેમ્બરના આતંકવાદી હુમલાની મહત્ત્વની સાક્ષીદાર અને સૌથી નાની વયની બચી ગયેલી પીડિતા દેવિકા રોટવાનને પાંચ વર્ષની કાનૂની લડત બાદ છેવટે નવા ઘરમાં પ્રવેશ શક્ય બન્યો છે. ૨૬
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સ્ટેશને આતંકવાદીઓના ગોળીબારમાં દેવિકાને પગમાં ગોળી વાગી હતી એ વખતે તે માત્ર નવ વર્ષની હતી. પિતા અને ભાઈ સાથે ગઈ હતી જેમાં તેઓ બંને પણ ઈજા પામ્યા હતા. દસ આતંકાદીઓમાંના બે જણે આડેધડ ગોળીબાર કરતાં ૫૮ના મોત થયા હતા અને ૧૦૪ને ઈજા થઈ હતી.
દેવિકાએ જીવંત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબ સામે વિશેષ કોર્ટમાં મહત્ત્વની જુબાની આપી હતી.
દેવિકાએ ૨૦૨૦માં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને સરકારી ક્વોટામાંથી ઘર મેળવવાની માગણી કરી હતી. બે વાર નિષ્ફળ ગયા બાદ ત્રીજા રાઉન્ડમાં સરકારે વાત માની હતી. ગયા વર્ષે માર્ચમાં હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યા બાદ બાદ સરકારે દેવિકાને મ્હાડા કે એસઆરએમાં છ મહિનામાં ઘર ફાળવવાની ખાતરી આપી હતી.
ગયા વર્ષે ફ્લેટ ફાળવાયો હતો પણ પ્રોજેકટ અધૂરો રહ્યો હતો જેને લીધે ફાળવણી રદ થઈ હતી. બે મહિના પૂર્વે સરકારે છેવટે અંધેરીમાંં દેવિકાને વન બીએચકેનો ફ્લેટ ફાળવ્યો હતો.
દેવિકાએ બીએ પૂર્ણ કર્યું અને નોકરીની શોધવામાં છે. દેવિકાએ કોર્ટમાં દલીલ કરી હતી કે પિતા અને ભાઈ કામ કરી શકે તેમ નથી અને પરિવાર ઘરવિહોણો થઈ જશે. ફ્લેટની ફાળવણી થયાનું જાણીને કોર્ટે સંતોષ વ્યક્ત કરીને પ્રધાનના નિર્ણયની પ્રશંસા કરી હતી. અજદારને ન્યાય મળ્યો હોવાનો સંતોષ વ્યર્ત કર્યો હતો.