Get The App

'વિજય સભાના નામે રોતડું ભાષણ...', ઉદ્ધવ-રાજ ઠાકરેની રેલી બાદ ફડણવીસનો કટાક્ષ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
'વિજય સભાના નામે રોતડું ભાષણ...', ઉદ્ધવ-રાજ ઠાકરેની રેલી બાદ ફડણવીસનો કટાક્ષ 1 - image


Devendra Fadnavis Slams Uddhav-Raj Thackeray Rally : ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સંયુક્ત સભા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કટાક્ષ કરતાં કહ્યું છે, વિજય સભાના નામે માત્ર રોતડું ભાષણ જ કરવામાં આવ્યું. 

રાજ અને ઉદ્ધવ ઠાકરેને ફડણવીસનો જવાબ

ફડણવીસે કહ્યું છે, કે 'મને બાળાસાહેબના આશીર્વાદ મળી રહ્યા છે. મને તો કહેવામાં આવ્યું હતું કે વિજય રેલી થશે પણ ત્યાં તું માત્ર રોતડું ભાષણ જ થયું. મરાઠીની વાત નહીં, સત્તાની ભૂખ દેખાઈ. 25 વર્ષ સુધી મુંબઈની મહાનગરપાલિકા તેમની (ઉદ્ધવ ઠાકરે) પાસે જ રહી પણ કોઈ કામ ન થયું. આજે જ્યારે પીએમ મોદીના નેતૃત્વમાં મુંબઈનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેમને ઇર્ષ્યા થઈ રહી છે. અમે મરાઠી છીએ અને અમને તેનો ગર્વ છે. અમે હિન્દુત્વવાદી છીએ અને હિન્દુ હોવાનો ગર્વ છે. મુંબઈનો મરાઠી હોય કે ગેરમરાઠી, સૌ અમારી સાથે છે.'

ગુજરાતી છે એવું માથે થોડું લખ્યું છે, કોઈ નાટક કરશે તો કાનની નીચે મારીશું: રાજ ઠાકરે

મુંબઈમાં મરાઠી ન આવડતી હોય તેવા લોકો પર હુમલા વધી રહ્યા છે એવામાં આજે વર્ષો બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવ્યા હતા. પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ ધમકી આપતાં કહ્યું હતું કે કોઈ નાટક કરશે તો અમે થપ્પડ મારીશું જ. રાજ ઠાકરેએ કહ્યું, કે 'તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે 125 વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખ્સે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજો, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.'



મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા અમે ગુંડા જ છીએ: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું, કે 'અમે બે ભાઈઓ સાથે રહેવા માટે જ આજે એક થયા છીએ. ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય. પણ જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ. અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પણ અમે આવું થવા નહીં દઈએ. એક ગદ્દાર ગઈકાલે બોલ્યો કે 'જય ગુજરાત'. મહારાષ્ટ્ર આવતા તમામ ઉદ્યોગ ધંધા ગુજરાત મોકલી દેવાયા. આ લોકોએ ગુજરાતમાં પટેલોને ભડકાવ્યા તેમને હાંસિયે ધકેલ્યા અને સત્તા પ્રાપ્ત કરી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ એવું જ કર્યું.'



ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે આવ્યા તો NDAને જ ફાયદો: રામદાસ આઠવલે

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને NDA નેતા રામદાસ આઠવલેએ પણ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે, કે 'જોઈએ છીએ બંને ભાઈઓ કેટલા દિવસ સાથે રહે છે. અસલી શિવસેના એકનાથ શિંદે પાસે છે અને તેમની પાસે 40 ધારાસભ્યો છે. રાજ ઠાકરે પાસે કોઈ ધારાસભ્ય નથી. જો આ બંને ભાઈઓ સાથે ચૂંટણી લડશે તો ઉદ્ધવ ઠાકરએ મહાવિકાસ આઘાડી(ઇન્ડિયા ગઠબંધન)માંથી બહાર આવવું પડશે.' આમ NDA નેતાનો દાવો છે કે આ બંને ભાઈઓ એક થવાથી કોંગ્રેસના ગઠબંધનને ફટકો પડશે. 

અલગ ગઠબંધન થઈ શકે છે: સંજય રાઉત

આજે 20 વર્ષ બાદ મહારાષ્ટ્રના બે મોટા નેતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એક મંચ પર જોવા મળ્યા. મરાઠી ભાષા અંગે ચાલી રહેલા વિવાદમાં બંને ભાઈઓએ ભાજપ સરકાર સામે બાંયો ચડાવી છે. એવામાં હવે એવી પણ શક્યતા છે કે મુંબઈમાં સ્થાનિક ચૂંટણી માટે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબિટી વચ્ચે ગઠબંધન થાય. જો આ બે પક્ષનું ગઠબંધન થાય તો ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને શરદ પવારનો સાથ છોડે તેવી પણ શક્યતા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના મોટા નેતા તથા સાંસદ સંજય રાઉતે આ મામલે કહ્યું છે, કે 'જનતા જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને સાથે લઈને આવી છે. ગઠબંધનમાં ચૂંટણી લડવા અંગે ભવિષ્યમાં વાતચીત કરીશું. અત્યારે અમે I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો છીએ પરંતુ સ્થાનિક ચૂંટણી અલગ હોય છે. સ્થાનિક ચૂંટણી અલગ રીતે લડવી પડે છે, અલગ ગઠબંધન પણ થઈ શકે છે.'

Tags :