ભારત જોડો યાત્રા દરમ્યાન બદનક્ષી કર્યાનો આરોપ
નાશિક પોલીસે રિપોર્ટ રજૂ કર્યા બાદ ફરિયાદીએ સ્વેચ્છાએ ફરિયાદ પાછી ખેંચી
મુંબઈ - 2022 માં ભારત જોડો યાત્રા દરમિયાન હિન્દુત્વ વિચારધારા ધરાવતા વી.ડી. સાવરકર વિરુદ્ધ કરેલી ટિપ્પણી સંબંધિત માનહાનિના કેસના સંદર્ભમાં બુધવારે નાસિકની કોર્ટમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત મળી છે. મૂળ ફરિયાદીએ પોતાની ફરિયાદ પાછ ખેંચી લેતાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસીજેએમ) આર.સી. નરવાડિયાએ ગાંધી વિરુદ્ધ ફોજદારી કેસનો નિકાલ કર્યો હતો.
એસીજેએમ નરવાડિયાએ શરૃઆતમાં પ્રોેસેસ જારી કરવાનો આદેશ આપ્યો હતો. તે આદેશ સામે ગાંધીના વકીલો દ્વારા નાશિક સેશન્સ કોર્ટમાં ફોજદારી સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી હતી. સમીક્ષા અરજીની સુનાવણી કર્યા પછી, સેશન્સ કોર્ટ મેજિસ્ટ્રેટે સમીક્ષા અરજીને આંશિક રીતે મંજૂરી આપી અને પ્રોસેસ જારી કરવાનો આદેશ રદ કર્યો હતો.
મેજિસ્ટ્રેટે એસીજેએમને મૂળ ફોજદારી અરજીમા પ્રોસેસ જારી કરવાના મુદ્દા પર પુનવચાર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. એસીજેએમ દ્વારા નવી શરૃ કરાયેલી કાર્યવાહીમાં સરકારવાડા પોલીસ સ્ટેશને ફોડદારી દંડ સંહિતાની કલમ ૨૦૨ હેઠળ કોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ સ્વેચ્છાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લેતાં કોર્ટે કેસનો નિકાલ કર્યો હતો.
વરિષ્ઠ વકીલ જયંત જયભાવેએ જણાવ્યું હતું કે, પોલીસે તેની તપાસમાં કોઈ કેસ બનતો નહિ હોવાનું તારણ આપ્યું હોવાનું માનવા જોગ છે. આથી આ સંદર્ભમાં મૂળ ફરિયાદીએ ફરિયાદ પાછી ખેંચી હોય તે સંભવ છે.
રાહુલ ગાંધીએ ૨૦૨૨માં તેમની ભારત જોડો યાત્રા દરમિયાન અકોલા અને હિંગોલીમાં વીર સાવરકર વિશે બદનક્ષીભર્યાં વિધાનો કર્યાં છે એવો આક્ષેપ સાથેનો કેસ નિર્ભયા ફાઉન્ડેશન દ્વારા નાસિકમાં ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી માટ રાહુલ ગાંધીએ બે વાર કોર્ટમાં હાજર રહેવ પડયું હતું.


