શિક્ષકોની મુશ્કેલી વધતાં સરકારનો યુ-ટર્ન
શિક્ષક-શિક્ષકેતર કર્મચારીઓ જો એપ્રિલ સુધીમાં કેવાયસી ન કરાવે તો પગાર અટકાવાના હતા
મુંબઈ - રાજ્યના શિક્ષકો અને શિક્ષકેત્તર કર્મચારીઓ માટે ઈ-કેવાયસી બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણ અને નાણાં વિભાગના આદેશ મુજબ, શાલાર્થ/સેવાર્થ સિસ્ટમ હેઠળ પગાર લેતા તમામ કર્મચારીઓ માટે બેંક ખાતાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત બનાવાઈ હતી. જો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો એપ્રિલ મહિનાનો પગાર (મે મહિનામાં મળનાર) રોકી દેવામાં આવશે, તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જે હવે જૂન સુધી વધારાઈ છે.
આ નિર્ણયને કારણે રાજ્યભરના શિક્ષકોમાં ચિંતા ફેલાઈ હતી. હાલમાં પરીક્ષાનું કામ, પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા તેમજ ચૂંટણી અને અન્ય શાસકીય ફરજો હોવાને કારણે શિક્ષકો માટે સમય કાઢવો મુશ્કેલ બન્યો હતો. ઉપરાંત, બેંકોમાં લાંબી લાઈનોને કારણે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી હતી, જેના કારણે શિક્ષક સંસ્થાઓએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આ વચ્ચે વધતી ફરિયાદો અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે રાહત આપતા ઈકેવાયસી માટેની સમયમર્યાદામાં વધારો કર્યો છે. હવે શિક્ષક - શિક્ષકેતર કર્મચારીઓને જૂન ૨૦૨૬ સુધી (કેટલાક સ્થળોએ મે મહિનાના અંત સુધી) ઈ-કેવાયસી પૂર્ણ કરવાની તક આપવામાં આવી છે. આથી એપ્રિલના પગાર અંગેની અનિશ્ચિતતા થોડી ઓછી થઈ છે અને આ સમયમર્યાદા અંતિમ હોવાનું પણ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.


