Mumbai

ચેક બાઉન્સ કેસમાં ક્રિકેટર રોબિન ઉથાપા સામેનું સમન્સ કોર્ટ દ્વારા રદબાતલ

By GS TEAM
3 Oct 20252 mins read
ચેક બાઉન્સ કેસમાં ક્રિકેટર રોબિન ઉથાપા સામેનું સમન્સ કોર્ટ દ્વારા રદબાતલ

કંપનીના રોજિંદા કામકાજમાં તેની કોઈ ભૂમિકા ન હોવાની દલીલ

ટ્રાયલ કોર્ટે  ફોજદારી કાર્યવાહી હેઠળ ફરજિયાત તપાસ હાથ ધરી ન હોવાની નોંધ

મુંબઈ: મુંબઈની એક સેશન્સ કોર્ટે ૨૦૧૯ના ચેક બાઉન્સ કેસમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથાપા સામે મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરી દીધા છે અને નોંધ્યું છે કે ટ્રાયલ કોર્ટે પોતાનો આદેશ આપતા પહેલા ફોજદારી કાર્યવાહી સંહિતા (સીઆરપીસી) હેઠળ ફરજિયાત તપાસ હાથ ધરી ન હતી.

ગયા મહિને એડિશનલ સેશન જજ કુણાલ ધનાજી જાધવે એક ચુકાદામાં, સીઆરપીસીની કલમ ૨૦૨ હેઠળ તપાસ હાથ ધરવાના નિર્દેશ સાથે મામલો પાછો ટ્રાયલ કોર્ટમાં મોકલી આપ્યો હતો.

કલમ ૨૦૨ હેઠળની તપાસ એ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવતી પ્રારંભિક તપાસ છે જે નક્કી કરે છે કે ખાનગી ફરિયાદ કેસમાં આરોપી સામે પ્રક્રિયા (સમન્સ) જારી કરવા માટે પૂરતા કારણો છે કે નહીં, ખાસ કરીને જ્યારે તે કોર્ટના અધિકારક્ષેત્રની બહાર રહે છે.

ઉથાપાએ ૭ જૂન, ૨૦૧૯ ના રોજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (માઝગાંવ) દ્વારા આપવામાં આવેલા આદેશ સામે સેશન્સ કોર્ટમાં એડવોકેટ સિદ્ધેશ બોરકર દ્વારા રિવિઝન અરજી દાખલ કરી હતી.

૨૦૧૯ માં  એક ખાનગી કંપની, સિનિયર માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડે મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ બીજી કંપની, સેન્ટોરસ લાઇફસ્ટાઇલ અને તેના ઉથપ્પા સહિત  તેના ડિરેક્ટરો વિરુદ્ધ પોસ્ટ-ડેટેડ ચેક આપવા બદલ ફરિયાદ દાખલ કરી હતી. આ ચેક અપૂરતી બેલેન્સને કારણે બાઉન્સ થયો હતો.

ક્રિકેટરે પોતાની રિવિઝન અરજીમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે તે કોર્ટના સ્થાનિક અધિકારક્ષેત્રની બહાર આવતા બેંગલુરુનો રહેવાસી છે અને જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ પ્રક્રિયા જારી કરતા પહેલા  ફરજિયાત તપાસ કરવામાં નિષ્ફળ ગયા હતા.

 ક્રિકેટરે દાવો કર્યો કે તે કંપનીમાં રોકાણકાર હોવાને કારણે સેન્ટોરસ લાઇફસ્ટાઇલનો ફક્ત નિષ્ક્રિય ડિરેક્ટર હતો.

અરજીમાં જણાવાયું છે કે મેજિસ્ટ્રેટે એ પણ ધ્યાનમાં લીધું ન હતું કે ક્રિકેટર આરોપી કંપનીનો બિન-સક્રિય ડિરેક્ટર હતો અને કંપનીના રોજિંદા કામકાજમાં તેની કોઈ ભૂમિકા નહોતી.

ક્રિકેટરે ફક્ત એક રોકાણકાર હોવાનો દાવો કર્યો હતો અને તેણે આરોપી કંપની વિરુદ્ધ ભંડોળના દુરુપયોગ બદલ ફોજદારી ફરિયાદ પણ નોંધાવી હતી.

સેશન્સ જજે નોંધ્યું હતું કે મેજિસ્ટ્રેટના આદેશનું અવલોકન કરવાથી એવું બહાર આવતું નથી કે કાયદા હેઠળ ફરજિયાત કોઈપણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જોકે અરજદાર (ઉથાપા) તેના પ્રાદેશિક અધિકારક્ષેત્રની બહારના સ્થળનો રહેવાસી છે.

કોર્ટે ક્રિકેટરને જારી કરાયેલ સમન્સ રદ કર્યું અને મામલો પાછો ટ્રાયલ કોર્ટમાં મોકલી દીધો, તેને કાયદા કલમ ૨૦૨ હેઠળ તપાસ કરવા અને ત્યારબાદ કાયદાની પ્રક્રિયાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો.