મહિમના બંધ કબૂતરખાનાં ચણ આપ્યું હતું
દાદરનાં વેપારીનાં બેદરકાર કૃત્યથી જીવલેણ બીમારીનો ચેપ ફેલાઈ શકે ઃ કોર્ટ
મુંબઈ - જાહેરમાં કબૂતરોને ચણ નાખવા બદલ કોર્ટે વેપારીને કસૂરવાર ઠેરવીને રૃ. પાંચ હજારનો દંડ ભરવાનો નિર્દેશ આપ્યો છે. આરોપીનું કૃત્ય જીવનું જોખમ ધરાવતી ચેપી બીમારીના ફેલાવાને પ્રેરીત કરે છે, એમ કોર્ટે નોંધ કરી હતી.
મુંબઈ મહાપાલિકાએ કબૂતરોને જાહેરમાં ચણ નાખવા પર બંધી લાદ્યાના અમુક મહિનાઓ બાદ આદેશ આપ્યો છે. દાદરના બાવન વર્ષીય રહેવાસી નીતિન શેઠ પહેલી ઓગસ્ટે માહિમ વિસ્તારમાં હાલ બંધ રહેલા કબૂતરખાના ખાતે ચણ નાખતા પકડાયા હતા.
શેઠે ગુનો કબૂલીને દયાની આજીજી કર્યા બાદ કોર્ટે ૨૨ ડિસેમ્બરે શેઠને કસૂરવાર ઠેરવીને રૃ. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.
માનવ જીવ સામે જોખમ ઊભું કરવા, આરોગ્ય અને સલામતીને જોખમમાં મૂકવા તથા સરકારી આદેશનો ભંગ કરવાનો આરોપ મૂકાયો હતો.
જીવલેણ બીમારીનો ચેપ ફેલાઈ શકે એવા બેદરકાર કૃત્ય બદલ પણ આરોપ લાગુ કરાયો હતો.


