મુંબઇ તા. 4 ફેબ્રુઆરી 2020, મંગળવાર
રાજ્ય સરકાર છત્રપતી શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક આઇસોલેશન યુનિટ શરૂ કરવાનું વિચારી રહી છે. આવું યુનિટ શરૂ કરવાથી જેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો શક હોય એવા દર્દીઓને એરપોર્ટથી છેક ચિંચપોકળીની કસ્તુરબા હોસ્પિટલમાં લઇ જવાની જરૂર નહિ પહે. સોમવાર સુધીમાં ત્રણ મુસાફરોને મુંબઇ, મિરજ અને પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ પૈકી મુંબઇની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયેલ દર્દીનો એચ૧ એન૧ (સ્વાઇન ફલુ) નો રિપોર્ટ પોજિટીવ આવ્યો હતો.
રાજ્યના માજી આરોગ્ય મંત્રી ડૉ. દીપક સાવંત સોમવારે આરોગ્ય ખાતા અને પુણેની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના અધિકારીઓને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે આઇસોલેશન ફેસિલિટી વિશે માત્ર પ્રાથમિક ચર્ચા થઇ છે. અમારે સ્થાનિક અને એરપોર્ટ સત્તાવાળાઓ સાથે એના વ્યાવહારુ પાસાની ચકાસણી કરવી પડશે. રાજ્ય સરકારે કોરોના વાયરસના શકમંદ દર્દીઓને લઇ જતી એમબ્યુલંસોને જંતુમુક્ત કરવાના નિયમો પણ ઘડયા છે.
દરમિયાન, પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે મીરા રોડની ૨૬ વરસની યુવતી ૨૩ થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન સિંગાપુરમાં હતી એ મુંબઇ પાછી ફર્યા બાદ એને સોમવારે કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી એ છ પર્યટન સ્થળોની મુલાકાતે ગઇ હતી પણ એ દરમ્યાન કોઇ કોરોનાવાયરસના દર્દીના સંપર્કમાં નહોતી આવી, એનો પ્રવાસનો કાર્યક્રમ અને એના રોગના લક્ષણો જોઇ અમે એને અલાયદી રાખવાનો નિર્ણય લીધો. પરંતુ એનો સ્વાઇન ફલુનો રિપોર્ટ પોજિટીવ આવ્યો હતો.


