સીબીએસઈની 'બે બોર્ડ પરીક્ષા' પદ્ધતિ
બંને પરીક્ષામાંથી જે શ્રેષ્ઠ માર્ક હશે તે ફાઈનલ પરિણામમાં દર્શાવાશે, તણાવ ઘટાડવા પ્રયાસ
મુંબઇ - સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ ૨૦૨૬થી ધો.૧૦ માટે નવી બે બોર્ડ પરીક્ષાની પદ્ધતિ લાગુ કરી છે. આ નવી નીતિ મુજબ, ફેબુ્રઆરી-માર્ચમાં લેવાતી પ્રથમ પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે. જ્યારે બીજી વૈકલ્પિક પરીક્ષા મે મહિને લેવાશે. બીજી પરીક્ષા વિદ્યાર્થીઓને તેમના માર્ક્સ સુધારવાની તક આપશે અને બંનેમાંથી શ્રેષ્ઠ ગુણને અંતિમ પરિણામ માટે ગણવામાં આવશે. આ પગલાંથી વિદ્યાર્થીઓ પરનો પરીક્ષાનો તણાવ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નવી માર્ગદર્શિકા મુજબ, માત્ર તે જ વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા માટે અરજી કરી શકશે જેમણે પ્રથમ પરીક્ષા આપી હશે. વિદ્યાર્થીઓ મહત્તમ ત્રણ વિષયમાં ફરી પરીક્ષા આપી શકે છે. જેથી તેઓ તેમના ગુણ સુધારી શકે અથવા નાપાસ થયેલા વિષયોમાં પસ થઈ શકે. જો કોઈ વિદ્યાર્થી પ્રથમ પ્રયાસમાં અનેક વિષયોમાં ગેરહાજર રહે તો તેને બીજી પરીક્ષા માટે મંજૂરી મળવાની શક્યતા નહિવત્ રહેશે.
બોર્ડે બીજી પરીક્ષા માટે નોંધણી સંબંધિત નિયમો પણ જાહેર કર્યા છે. જેમાં શાળાઓને નિર્ધારિત સમયમર્યાદામાં પાત્ર વિદ્યાર્થીઓની યાદી સબમિટ કરવાની રહેશે. આ નવી પદ્ધતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦ સાથે સુસંગત છે અને વિદ્યાર્થીઓને એક વર્ષ રાહ જોવાને બદલે તરત જ પોતાનું પરિણામ સુધારવાની તક આપે છે. જેના કારણે પરીક્ષા પ્રણાલી વધુ લવચીક અને વિદ્યાર્થીમૈત્રી બનશે.


