બે વર્ષમાં વીજવાહનોનું વેચાણ છ ગણું વધતાં ચાર્જિંગ મીટર્સની સંખ્યા પણ વધારાશે
- મુંબઇમાં વીજવાહનો માટે ચાર્જિંગની સુવિધાઓ મોટાપાયે વધારવામાં આવશે
- ભારતમાં સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન વાશીમાં શરૂ કરવામાં આવ્યું છે
મુંબઇ
પ્રદૂષણને નિવારવા માટે મુંબઇગરાઓ વીજ સંચાલિત વાહનો વસાવવા માંડયા છે તેમ હવે તેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવા માટે પણ કંપનીઓ કમર કસી રહી છે. વીજ કંપનીઓએ વીજ વાહનોને ચાર્જ કરવા માટે મુંબઇમાં વિવિધ પાર્કિંગ સ્થળોએ ૧૦૦ જેટલા વિશેષ મીટર બેસાડયા છે. જેમાં સામાન્ય રીતે એક કલાક સુધી વાહનને ચાર્જ કરવાની સુવિધા આપવામાં આવે છે.
મુંબઇમાં ઘણી સોસાયટીઓ દ્વારા તેમના પાર્કિંગ એરિયામાં વીજવાહનોને ચાર્જિંગ કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેના માટે વીજકંપનીઓ દ્વારા સ્પેશ્યલ મીટર પુરા પાડવામાં આવે છે. હાલ વીજ વાહનોને ચાર્જ કરવા માટે એક યુનિટ દીઠછ રૂપિયાનો ચારજ વસૂલવામાં આવે છે.
મુંબઇમાં મોલ્સમાં પણ ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. હાલ લોઅર પરેલમાં પેલેડિયમ મોલ ખાતે અને કુર્લામાં ફિનિકસ મોલ ખાતે આવી સુવિધા આપવામાં આવી રહી છે. સરકારની ઇલેકટ્રિક વાહન નીતિ ૨૦૨૧ અનુસાર ખાનગી ઓફિસોને બિલ્ડિંગની બહાર ચાર્જિંગની સુવિધા આપવા માટે પ્રોત્સાહન આપવા જણાવાયું છે જ્યારે સરકારી ઓફિસોમાં તો ચાર્જિંગ પોઇન્ટ હોવા જ જોઇએ.
આ નીતિ અનુસાર એક કિલોમીટરના અંતરે ચાર્જિંગ પોઇન્ટની સુવિધા ઉભી કરવા માટે પેટ્રોલ પંપોને પણ ચાર્જિંગ સુવિધા આપવા માટે જણાવાશે. એચપીના પેટ્રોલ પંપોએ ટાટા પાવર સાથે આવી સુવિધા પુરી પાડવા માટે કરાર કર્યા છે.
બસપરિવહન માટે પણ આવી સુવિધા ઉભી કરવા માટે બેસ્ટ દ્વારા તેના ૨૭ બસ ડેપોમાંથી દસ બસ ડેપોમાં ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે. હાલ બેસ્ટના ચાર બસ ડેપો ધારાવી, માલવણી, બેકબે અને શિવાજીનગર ખાતે આવી ચાર્જિગ સુવિધા ઉભી કરવામાં આવી છે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન-એમએમઆર-માં ૨૦૨૫ સુધીમાં ૧૫૦૦ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારતમાં સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન વાશીમાં શરૂ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યસ્તરે વીજવાહનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં ભરવા માંડયા છે. મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર આવા આઠ ચાર્જિંગ સ્ટેશનો બેસાડવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે તો મુંબઇ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ પર પાર્કિંગ અને ચાર્જિંગ માટે ફાળવવામાં આવેલી જગ્યામાં પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે. એમએસઆરડીસીના મેનેજિંગ ડાયરેકટર ચન્દ્રકાન્ત પુલકુંડવરે જણાવ્યું હતું કે મુંબઇ-નાગપુર સમૃદ્ધિ હાઇવેનું ૭૦ ટકા કામ પુરૂ થઇ ગયું છે અને ઇવી ચાર્જિંગ સ્ટેશનોનું કામ પણ હાઇવેની સાથે જ પુરૂ કરવામાં આવશે.