મુંબઇ - મુંબઇના આદ્ય શિલ્પકાર તેમ જ સાત બેટને એકત્ર કરવામાં સિંહફાળો આપી પહેલવહેલી ટ્રેન દોડતી કરવામાં નિમિત્ત બનેલા જગન્નાથ (નાના) શંકરશેટની ૨૨૩મી જન્મજયંતી તાજેતરમાં જ ગિરગાંવની અમૃતેશ્વર કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાઇટીમાં નાનાપ્રેમીઓ તરફથી ઉજવવામાં આવી હતી.
નાના શંકરશેટ જે વિશાળ મહાલય જેવા વાડામાં રહેતા હતા એ જ જગ્યાએ અસ્તિત્વમા ં આવેલી સોસાઇટીના પરિસરમાં ઉજવણી થઇ રહી છે એવી માહિતી આપતા કમિટીના અધ્યક્ષ અશોક જૈને જણાવ્યું હતું કે મુંબઇના નિર્માણમાં નાના શંકરશેટના બહુમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય. આ પ્રસંગે નાનાજીની પાંચમી પેઢીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
મુંબઇ સેન્ટ્રલને નાના શંકરશેટનું નામ આપવામાં આવે એવી માગણી સાથે સતત પ્રયત્નશીલ પ્રકાશ ચિખલીકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે રેલવેનો ઇતિહાસ વર્ણવતા પુસ્તકમાં નાનાનાં યોગદાનનો ઉલ્લેખ છે. નાનાએ છુટાહાથે દાન કરેલી જમીનની કાગળ પર નોંધ સચવાઇ હોત તો આજે મુંબઇ સેન્ટ્રલ સ્ટેશનને નાના શંકરશેટનું નામ આપવા માટે સરકારની ગરજ કરવી ન પડત. તેમણે ઉમેર્યું હતું કે મારી ધર્મપત્ની મૃદુલા ચિખલીકર (પૂર્વેની મૃદુલા ભાલચંદ્ર શંકરશેટ) નાનાની પાંચમી પેઢીની સભ્ય છું અને નાનાનાં ભવ્ય વાડામાં રહી પણ ચૂકી છે. આ મહાન વિભૂતીનું નામ વિનાવિલંબ મુંબઇ સેન્ટ્રલ સ્ટેશનને અપાય એ જ નાના શંકરશેટ પ્રત્યે સાચું ઋણ અદા કર્યું ગણાશે એવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.


