Get The App

નિદાને આશરો આપનારા મતીન પટેલના ઘર-દુકાનો પર બુલડોઝર

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
નિદાને આશરો આપનારા મતીન પટેલના ઘર-દુકાનો પર બુલડોઝર 1 - image

કોર્ટ દ્વારા સ્ટે આપવાના ઈનકાર બાદ મહાપાલિકાની કાર્યવાહી

એઆઈએમઆઈએમનો હુંકારઃ સમગ્ર દેશ જોઈ રહે તેવું નવું ઘર મતીન પટેલ માટે બંધાવશું

મુંબઈનાસિક ટીસીએસ સતામણી કેસની આરોપી નિદા ખાનને આશરો આપનારા છત્રપતિ સંભાજીનગરના એઆઈએમઆઈએમના  કોર્પોરેટર મતીન પટેલનાં નિવાસ સ્થાન  તથા દુકાનો અન્ય સ્થળોના ગેરકાયદેસર બાંધકામો સ્થાનિક મહાપાલિકા દ્વારા બુધવારે તોડી પાડવામાં આવ્યાં હતાં.

નિદાની ગઈ તા. સાતમી મેના રોજ છત્રપતિ સંભાજીનગરથી  ધરપકડ થઈ હતી .પોલીસે કડકાઈથી પૂછપરછ કર્યા બાદ  મતીન પટેલે જ તેને આશરો આપ્યાનું  કબૂલી તેનું  લોકેશન આપી દીધું હતું. આ કેસમાં મતીન પટેલ સામે પણ  ગુનો નોંધાયેલો છે.

ખાનની ૭  મેના રોજ મધ્ય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે દાવો કર્યો હતો કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના નેતા પટેલે તેને આશ્રય આપ્યો હતો.

 મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના નારેગાંવ વિસ્તારમાં કથિત ગેરકાયદેસર બાંધકામો અંગે  નવમી મેના રોજ પટેલને નોટિસ ફટકારી હતી.એમાં ૭૨ કલાકની અંદર સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જો પટેલ તરફથી કોઈ જવાબ ન મળે તો કોર્પોરેશન પાસે મિલકત બાબતે નિર્ણય લેવાનો અધિકાર છે  એમ નોટિસમાં જણાવાયું હતું.

બાદમાં પટેલે આ કેસમાં સ્ટે માંગવા માટે કોર્ટમાં અરજી કરી.પરંતુ તે મંજૂર કરવામાં આવી ન હતી.

 મેયર સમીર રાજુરકરે  જણાવ્યું હતું કે પાલિકાના કર્મચારીઓએ બુધવારે સવારે પોલીસ સુરક્ષા હેઠળ પટેલના ઘર, ઓફિસ અને કેટલીક દુકાનો પર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડયા હતા.

અગાઉ મંગળવારે રાત્રે  એઆઈએમઆઈએમ ના નેતા ઇમ્તિયાઝ જલીલ નારેગાંવમાં મતીન પટેલના પરિવારને મળ્યા હતા, અને પાલિકાની ઉતાવળની ટીકા કરી હતી.

અમે કોર્ટ પાસેથી એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો.પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન બાંધકામો તોડી પાડવા માટે ઉતાવળમાં છે. બાંધકામ તોડી પાડયા પછી  અમે મતીન અને તેના પરિવાર માટે એક એવું ઘર બનાવીશું જે સમગ્ર દેશ ગજોશે એમ   જલીલે બેઠક પછી સમર્થકોને સંબોધતા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ગેરકાયદેસર બાંધકામ સંદર્ભમાં મતીન પટેલનું કોર્પોરેટર પદ રદ કરવાની હિલચાલ પણ હાથ ધરાઈ છે તેવો સંકેત મેયરે અગાઉ આપ્યો હતો.