Get The App

ન્યા. વર્મા સામે કાર્યવાહીને મંજૂરી આપો, બોમ્બે લોયર્સ એસો.ની સીજેઆઈને વિનંતી

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
ન્યા. વર્મા સામે કાર્યવાહીને મંજૂરી આપો, બોમ્બે લોયર્સ એસો.ની સીજેઆઈને વિનંતી 1 - image


દિલ્હી હાઈકોર્ટના જજના નિવાસસ્થાનેથી મળેલી રોકડનો મામલો

રેકોર્ડ પર ગંભીર પુરાવા છતાં એફઆઈઆર કે  પંચનામાના અભાવે  તપાસ પ્રક્રિયા  સામે સવાલો  ઉઠયા છેઃ સીજેઆઈને પત્ર

મુંબઈ -  બોમ્બે લોયર્સ એસોસિયેશન (બીએલએ)એ વિધિવત ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઈને ન્યા. યશવંત વર્મા સામે ફોજદારી કાર્યવાહી શરૃ કરવા મંજૂરી આપવા  વિનંતી કરી  છે.

અલ્લાહાબાદ હાઈકોર્ટના સિટિંગ જજ ન્યા. વર્માના સત્તાવાર નિવાસસ્થાનેથી બળી ગયેલી બેહિસાબી રોકડ રકમનો જથ્થો મળી આવ્યા બાદ ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે.

બીજી જૂને કરાયેલી રજૂઆતમાં બીએલએએ સીજેઆઆઈને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ એફઆઈઆર નોંધવાની પરવાનગી આપવાની વિનંતી કરી હતી.

એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ અહેમદ અબદી અને સેક્રેટરી એડવોકેટ એકનાથ ઢોકળેની સહી ધરાવતા પત્રમાં જણાવાયું છે કે અલ્લાહાબાદ  હાઈકોર્ટના સિટિંગ જજ ન્યા. યશવંત વર્મા સામે તેમના ઘરમાંથી મળેલી  બેહિસાબી રોકડ જપ્તીના કેસમાં એફઆઈઆર નોંધવા સહિતની  કાર્યવાહી શરૃ કરવાની મંજૂરી માગવામાં આવી રહી છે.

પત્રમાં કાયદા સમક્ષ સર્વસમાનના સિદ્ધાંત અને સંસ્થાકીય જવાબદારી નક્કી કરવાની બાબતને ટાંકવામાં આવી હતી. તપાસ એજન્સીએ આપેલી તસવીરો અને વિડિયો ફૂટેજ જેવા આધારભૂત પુરાવા દર્શાવે છે કે દખલપાત્ર ગુનો થયો છે. રેકોર્ડ પરના  પુરાવા ગંભીર હોવા  છતાં પણ હજી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી અને સત્તાવાર જપ્તી કે પંચનામું થયું નહોવાની બાબત ચિંતાનો વિષય હોવાનું પત્રમાં જણાવાયું હતું. આ બાબાત તપાસ પ્રક્રિયાની સત્યતા પર સવાલ કરે છે. તાત્કાલિક પગલાં જરૃરી છે.

જજ પણ પીસી એક્ટ હેઠળ સરકારી કર્મચારી છે અને તેમની સામે સીજેઆઈની પરવાનગી બાદ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ પત્રમાં ટાંકવામાં આવ્યો હતો. વધુ વિલંબ થશે તો પુરાવા સાથે ચેડાં થઈ શકે છે એવી ચિંતા પણ દર્શાવાઈ હતી. 

દિલ્હી પોલીસ કે સીબીઆઈને નિર્દેશ આપીને બળેલી રોકડ, વિડિયો અને તસવીરો સહિતના પુરાવા જપ્ત કરવાનો આદેશ આપવાની વિનંતી કરવામાં આવી છે.

વધુમાં બીએલએએ ન્યા. વર્મા સામે ઈન હાઉસ કમિટી રિપોર્ટની નકલ માગી છે જેને આધારે વિધિવત ફરિયાદ કરી શકાય.

 નવી દિલ્હીમાં ૩૦ તુઘલખરોડ ખાતે એ વખતના દિલ્હી હાઈકોર્ટના જજ ન્યા.વર્માના સત્તાવાર નિવાસસ્થાને ૧૪ માર્ચ ૨૦૨૫ના રોજ આગ લાગતાં તેમના ઘરમાંથી બળેલી રોકડ રકમ મળી આવી હતી. અગ્નિશમન દળના જવાનોને આંશિક બળેલી ૧૫ કરોડની રકમ મળી હતી.

આને પગલે ૨૨ માર્ચે એ વખતના સીજેઆઈ સંજીવ ખન્નાએ તપાસ માટે ત્રણ સભ્યની ઈન હાઉસ કમિટી બનાવી હતી.

કમિટીએ ત્રીજી મે ૨૦૨૫ના રોજ સીજેઆઈને અહેવાલ આપ્યો હતો જેમાં ન્યા. વર્માની સંડોવણી દર્શાવાઈ હતી.

આઠ મેના રોજ જારી કરાયેલી સુપ્રીમ કોર્ટની અખબારી યાદીમાં કમિટીના અહેવાલ અને ન્યા. વર્માનો જવાબ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને સોંપાયાનું જણાવાયું હતું.દરમ્યાન ન્યા. વર્માની બદલી અલાહાબાદ હાઈકોર્ટમાં કરાઈ હતી. 

બાદમાં ૨૧ મેના રોજ ન્યા. વર્મા સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. અરજી વખત પહેલાં કરાઈ હોવાની નોંધ કરાઈ હતી. અરજદારોને જરૃર પડયે સક્ષમ ઓથોરિટી પાસે જવાની છૂટ અપાઈ હતી.

Tags :