Get The App

મુંબઈમાં નોન-ઓસી ઇમારતોને ઓસી આપવા બીએમસી દ્વારા માર્ગ મોકળો

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈમાં નોન-ઓસી ઇમારતોને ઓસી આપવા બીએમસી દ્વારા માર્ગ મોકળો 1 - image

17 નવેમ્બર 2016 પહેલાં બનેલી ઇમારતોને આ યોજનાનો લાભ મળશે 

 એમ્નિસ્ટી સ્કીમને ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે

મુંબઈ - મુંબઈમાં ઓક્યુપન્સી સટફિકેટ (ઓસી) વગરની ઇમારતો(નોન ઓસી)માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા ( બીએમસી) દ્વારા નોન ઓસી ઇમારતોને ઓસી આપવા માટે 'અભય યોજના'(એમ્નિસ્ટી  સ્કીમ) લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

મળેલી માહિતી મુજબ, ૧૭ નવેમ્બર ૨૦૧૬ પહેલાં બનેલી ઇમારતોને આ યોજનાનો લાભ મળશે. શહેર અને ઉપનગરોમાં મોટી સંખ્યામાં એવી ઇમારતો છે કે જેઓ મંજૂર નકશામાં નાના ફેરફારો અથવા વધારાના કામને કારણે ઓસી  મેળવી શકી નથી.જેના કારણે રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હાલમાં આવી ઇમારતોને પાણી અને પ્રોપર્ટી ટેક્સ જેવી સુવિધાઓ માટે નિયમિત દર કરતાં વધુ ચાર્જ ચૂકવવો પડે છે. રહેવાસીઓ પર પડતા આ ભારને ધ્યાનમાં રાખીને આખરે, નાગરિકોના હિતમાં, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડિંગ પ્રપોઝલ્સ અને ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ વતી ઓસી વિનાની ઇમારતોને ઓસી આપવા માટે અભય યોજના લાગુ કરવાનું એટલે કે માનવતાવાદી દૃષ્ટિકોણથી આ યોજના લાવવાનો વિચારી રહી છે.

આ અભય યોજના હેઠળ રહેણાંક ઇમારતો ઉપરાંત હોસ્પિટલો અને શાળા ઇમારતોને પણ ઓસી  માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે. ૮૦ ચોરસ મીટર સુધીના ફ્લેટ ધરાવતા નાગરિકો આ યોજનામાં પાત્ર ગણાશે.આ અભય યોજના હેઠળ પ્રવર્તમાન નીતિઓ અનુસાર રિ-લાયસન્સિંગ ફી, બાલ્કની એન્ક્લોઝર, એટિક એન્ક્લોઝર, સ્ટોરી ફી, પેનલ્ટી, અરજી ફી વગેરેના ચાર્જ માટે નિયમિત ફી પર ૫૦ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો કે દરખાસ્ત પ્રથમ છ મહિનાની અંદર સબમિટ કરવામાં આવે તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. પરંતુ જો તે પછી આવે તો, દંડની રકમ પર ૫૦ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તે પછી કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં.

બીએમસીએ સ્પષ્ટ કર્યું છે કે આ યોજના માત્ર ઓસી મેળવવા માટે જ છે અને અનધિકૃત બાંધકામને કાયદેસર બનાવવા માટે તેનો ઉપયોગ થઈ શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ માર્ચ ૧૯૯૧ પહેલાં બનેલી ઇમારતો માટે આવી યોજના અમલમાં મૂકવામાં આવી હતી.પરંતુ હવે સમયમર્યાદા વધારીને ૨૦૧૬ સુધી લંબાવવાની તૈયારી કરવામાં આવી છે.

આ યોજના માટેની માર્ગદશકા ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ સત્તાવાર રીતે યોજના અમલમાં મૂકવામાં આવશે.