પીઓપીની પ્રતિમા પરનો પ્રતિબંધ હટાવાયો જોકે, કુદરતી જળ સ્રોતમાં વિસર્જનની મનાઈ
શિલ્પીઓ અને ગણેશ મંડળ માટે રાહતના સમાચાર
પીઓપી પ્રતિમાઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવમાં જ થઈ શકશેઃ સરકારને ત્રણ સપ્તાહમાં ઉપાય યોજના રજૂ કરવા આદેશ
મુંબઈ - ગણેશોત્સવ પૂર્વે બોમ્બે હાઈકોર્ટે આપેલા મહત્ત્વના નિર્ણયમા પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની બનેલી પ્રતિમા પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આ નિર્ણયને લીધે શિલ્પીઓ અને ગણેશ મંડળમાં હાશકારો ફેલાયો છે. હાઈકોર્ટે જોકે આવી પ્રતિમાનું વિસર્જન નૈસર્ગિક જળ સ્રોતને બદલે કૃત્રિમ તળાવમાં કરવાની શરત કાયમ રાખી છે. આ નિર્ણય પર કોર્ટમાં બંને પક્ષે સંમતિ દર્શાવી છે.
કોર્ટે રાજ્ય સરકારને ત્રણ સપ્તાહમાં એક સમિતિ નિયુક્ત કરીને પીઓપી પ્રતિમાના વિસર્જન માટે કઈ ઉપાયયોજના કરાશે એ બાબતે સવિસ્તર અને ઊંડાણપૂર્વક માહિતી કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.કોર્ટે સુનાવણી ૩૦ જૂન પર રાખી છે. અદાલતના આ નિર્ણય બાદ હવે ઘરગથ્થુ તેમ જ મંડળ માટે તૈયાર નાની-મોટી પીઓપી પ્રતિમા બનાવવા સામે કોઈ અડચણ નહીં રહે પરંતુ પર્યાવરણપૂરક વિસર્જનની શરત અનિવાર્ય રહેશે.
ન્યા. આલોક આરાધે અને ન્યા. સંદીપ મારણેની બેન્ચે ઉક્ત આદેશ આપ્યો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિષ્ણાતોની સમિતિની ભલામણ હતી કે પીઓપીની પ્રતિમા તૈયાર કરી શકાશે પણ નૈસર્ગિક જળસ્રોતમાં તેનુ વિસર્જન કરી શકાશે નહીં.
રાજ્ય સરકારે હવે પીઓપીની પ્રતિમાના વિસર્જન માટે વિવેકબુદ્ધિ વાપરીને નિર્ણય લેવો પડશે, એમ કોર્ટે જણાવ્યું છે. મોટી પ્રતિમાઓનો મુદ્દો પણ ઉપસ્થિત થયો હતો.કોર્ટે સવાલ કર્યો હતો કે દર વર્ષે એક પ્રતિમા બનાવીને તે કાયમ રાખવાનું કહી શકાય? એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે મોટી પ્રતિમા માટે રાહત માગી હતી. મોટી પ્રતિમાઓ ૨૦ ફૂટ કે એથી વધુ ઊંચી હોય છે તે સાંસ્કૃતિ હિસ્સો બની ગઈ છે. જેને પગલે મુખ્ય ન્યા. આરાધેએ જણાવ્યું હતું કે અમને ખાતરી છે કે કોઈ પીઓપી પ્રતિમા કુદરતી જલસ્રોતમાં વિસર્જન કરવાની પરવાનગી અપાશે નહીં. કુત્રિમ તળાવ તૈયાર કરીને વિસર્જન કરી શકાય છે.
સરાફે જણાવ્યું હતું કે મંડળ કાયમીસ્વરૃપે એ જ પ્રતિમાનો ઉપયોગ કરશે તો રાજ્ય તરીકે અમે અડચણ ઊભી કરીશું નહીંય. કોર્ટે સરકારને નિર્ણય લેવા જણાવ્યું હતું.
પીઓપી વિરુદ્ધ શાડુની પ્રતિમાનો વિવાદ હાલ ચાલુ છે. પીઓપીને પરવાનગી આપવાનું શક્ય હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. સમિતિની ભલામણનો અહેવાલ નિર્ણય માટે સીપીસીબીને મોકલાવાયો હોવાનું કોર્ટને જણાવાયું હતું.
સમતિની ભલામણમાં જણવાયા અનુસાર પીઓપીની મૂર્તિનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન થવું જોઈએ અને વિસર્જન બાદ એકઠું કરેલું પીઓપી સાહિત્ય પુનર્વપરાશ થાય ત્યાં સુધી પર્યાવરણ પૂરક પદ્ધતિથી સાચવવામાં આવે.