અજિત પવારના કાર્યક્રમમાં પ્રાદેશિક પક્ષના કાર્યકરો ધસી આવ્યા અને ધમાચકડી મચાવી, જાણો શું હતી માગ
Ajit Pawar News : રાજ્યમાં ખેડૂતોને લોન માફી આપવામાં આવે તેમ જ દિવ્યાંગોને છ હજાર રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે એવી માગણી ભૂતપૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુની પાર્ટી પ્રહાર જનશક્તિ પક્ષના કાર્યકરો પૂણેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના કાર્યક્રમમાં ધસી આવીને જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગત સાત દિવસથી પ્રહાર પક્ષના પ્રમુખ બચ્ચુ કડુ ખેડૂતોની લોન માફી માટે આમરણ ઉપવાસ પર બેઠા છે. તેમની માગણીઓ માન્ય કરવી જોઈએ એવા મુદ્દે ધસી આવીને કાર્યકરોએ અજિત પવાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને કાર્યક્રમ વિક્ષેપ પાડયો હતો. બીજીતરફ બચ્ચુ કડુએ આંદોલન સ્થગિત કરીને બીજી ઓક્ટોબરની મુદત આપી છે.
પૂણે ખાતે નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે કેટલાક પ્રહાર જનશક્તિ પાર્ટીના કાર્યકરો અચાનક આવીને કૃષિલોન માફી અને બચ્ચુ કડીની રાજ્ય સરકારે 17 માગણીઓ મંજૂરી કરવી એવો આગ્રહ કરીને ધમાચકડી મચાવી હતી.
આ કાર્યકરોના માધ્યમથી અજિત પવારના કાર્યક્રમને બંધ પાડવાનો પ્રયત્ન કરાયો હતો. જોકે અજિત પવારે પ્રહાર જનશક્તિના કાર્યકરોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ માનવા તૈયાર નહોતા. તેઓ અજિત પવાર વિરુદ્ધ સૂત્રોચાર કરવા લાગ્યા હતા. આથી ત્યાં ઉપસ્થિત પોલીસે કાર્યકરોને તાબામાં લીધા હતા.
અજિત પવારે બચ્ચુ કડુની માગણીઓ અંગે રાજ્ય સરકારના વલણની વિસ્તૃત માહિતી આપી હતી. અજિત પવારે કહ્યું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બચ્ચુ કડુની ભૂખ હડતાળ અને તેમની માગણી માટે ચર્ચા કરવા અમરાવતીના પાલકમંત્રી ચંદ્રશેખર બાવનકુળેને મોકલ્યા હતા. તેઓ વચ્ચે ચર્ચા થઈ હતી. એટલું જ નહીં સીએમએ બચ્ચુ કડુને ફોન કરી ખાતરી આપી છે કે તેમની માગણીઓ હશે તેમાં તેઓ એક સમિતિની રચના કરશે અને સમિતિમાં બચ્ચુ કડીને સામેલ કરાશે. સમિતિ સરકારને અહેવાલ આપશે. ત્યારબાદ સરકાર ઉચિત નિર્ણય લેશે.