ગગનયાત્રી શુભાંશુ શુકલા ભારતનાં આશા-સપનાં લઇ કાલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો મહેમાન બનવા રવાના થશે
નાસા-એક્ઝિઓમ-૪ મિશનમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનશે ઃ ખરાબ હવામાનને કારણે મિશન કાર્યક્રમમાં ૨૪ કલાકનો વિલંબ
બુધવારે ભારતીય સમય મુજબ સાંજે ૫ ઃ ૩૦ વાગે ડ્રેગન કેપ્સુલ દ્વારા ચાર અવકાશયાત્રીઓ અંતરિક્ષયાત્રાએ જશે ઃ શુભાંશુ શુકલા પાયલોટ તરીકે મહત્વની ફરજ બજાવશે ઃ
મુંબઇ - હું મારી સાથે ટેકનિકલ સાધનો જ નહીં પણ એક અબજ ૭૦ કરોડ ભારતીયોની આશા --અરમાન અને સપનાં પણ લઇ જાઉં છું.
૨૦૨૫ની ૧૧, જૂન, બુધવારનો દિવસ ભારતીય અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
નાસા -- એક્ઝિઓમ -- ૪ મિશન કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૫ની ૧૧ , જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇએસએસ)માં જતાં પહેલાં ભારતીય હવાઇદળના ગૂ્રપ કેપ્ટન અને ગગનયાત્રી શુભાંશુ શુકલા(૩૯) એ સમગ્ર ભારત દેશનાં ભાઇ -બહેનોને આવો સુંદર અને ભારોભાર આશાસ્પદ સંદેશો આપ્યો છે.
નાસા --એકઝિઓમ -- ૪ મિશનના મૂળ કાર્યક્રમ મુજબ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલા તેના અન્ય ત્રણ સાથી અવકાશયાત્રીઓ સાથે ૨૦૨૫ની, ૧૦, જૂન, મંગળવારે સાંજે ૫ ઃ ૫૨ વાગે(ભારતીય સમય મુજબ) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવાના હતા.
હવે જોકે આ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ઇસરોના ચેરમેન વી.નારાયણને એવી જાહેરાત કરી છે કે ખરાબ હવામાનને કારણ નાસા -એક્ઝિઓમ -- ૪ મિશન હવે ૧૧,જૂને સાંજે ૫ ઃ ૩૦ વાગે(ભારતીય સમય મુજબ) રવાના થશે.
શુભાંશુ શુકલા ૧૧, જૂને ભારતીય સમય મુજબ સાંજના ૫ ઃ ૩૦ વાગે સ્પેસ એક્સના ફાલ્કન -- ૯ બ્લોક -- ૫ - રોકેટ દ્વારા ડ્રેગન સી ૨ ૧૩ કેપ્સુલ(અવકાશયાત્રીઓને બેસવાની કેબીન જેવું અવકાશયાન) માં બેસીને અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના કેનેડી સ્પેસ સેન્ટર(ફ્લોરીડા) પરથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના મહેમાન બનવા જશે. શુભાંશુ શુકલા સાથે નાસાના અવકાશયાત્રી અને નાસા --એક્ઝિઓમ -૪ મિશનના કમાન્ડર પેગ્ગી વ્હાઇટસન(અમેરિકા), ટાઇબોર કાપુ(હંગેરી), સ્લાવોસ્ઝ ઉઝ્નાન્સ્કી -- વિસ્નેવ્સકી(પોલેન્ડ) પણ હશે.
શુભાંશુ શુકલા ડ્રેગન કેપ્સુલના પાયલોટ તરીકે મહત્વની ફરજ બજાવશે.એટલે કે ડ્રેગન અવકાશયાનું સમગ્ર ટેકનિકલ સંચાલન શુભાંશુ શુકલા કરવાના છે એ ભારત માટે ગૌરવરૃપ છે.
હવે નવા કાર્યક્રમ મુજબ શુભાંશુ શુકલા સહિત ચારેય અવકાશયાત્રીઓ ૧૧ , જૂને પૃથ્વી પરથી રવાના થઇને બરાબર ૨૮ કલાકની અંતરિક્ષયાત્રા કરીને ૧૨, જૂને , ગુરુવારે રાત્રે ૧૦ ઃ ૦૦ વાગે(ભારતીય સમય મુજબ) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચશે.
શુભાંશુ શુકલા ભારતના પહેલા અને મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટમાં પણ અવકાશયાત્રી તરીકે પસંદ પામ્યા છે. જોકે હવે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) અને નાસા વચ્ચે થયેલી સમજૂતીરૃપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઇ રહ્યા છે. આમ શુભાંશુ શુકલા આઇએસએસમાંજનારા પહેલા ભારતીય અવકાશયાત્રી બનશે.
સાથોસાથ ૪૧ વર્ષ બાદ પૃથ્વી બહાર અફાટ,અનંત અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય અવકાશયાત્રી પણ હશે. ૧૯૮૪માં ભારતના રાકેશ શર્મા જૂના સોવિયેત સંઘના સોયુઝ મિશનમાં અવકાશયાત્રી તરીકે પૃથ્વી બહાર આશ્ચર્યો અને રહસ્યોથી ભરેલા અંતરિક્ષમાં ગયા હતા.
શુભાંશુ શુકલા તેમની સાથે કેરીનો મીઠો મધુરો રસ, મગની દાળનો અને ગાજરનો સ્વાદિષ્ટ હલવો , ભાતની અમુક મજેદાર ભારતીય વાનગીઓ પણ લઇ જવાના છે. શુભાંશુ શુકલા ઇચ્છે છે કે આપણી આ બધી ભારતીય વાનગીઓનો સ્વાદ મારા સાથી અવકાશયાત્રીઓ પણ માણે.
આઇ.એસ.એસ. માટેના એક્ઝીઓમ -- ૪ મિશનના વિશિષ્ટ કાર્યક્રમમાં અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા), એક્ઝિઓમ સ્પેસ, યુરોપિયન સ્પેસ એજન્સી(ઇ.એસ.એ.), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) જોડાયેલી છે.
શુભાંશુ શુકલા સહિત ચારેય અવકાશયાત્રીઓ આઇ.એસ.એસ.માં ૧૪ દિવસ રહીને ખાસ પ્રકારના સંશોધન કરશે. ભારતના શુભાંશુ શુકલા સાત પ્રકારનાં સંશોધન કરશે. આ સાત સંશોધનમાં અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણવિહીન અવસ્થામાં અવકાશયાત્રીઓને સ્નાયુઓમાં થતી સમસ્યા, કમ્પ્યુટરના સ્ક્રિનના ઉપયોગથી થતી શારીરિક-માાનસિક સમસ્યા, અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણવિહીન અવસ્થામાં પણ કઇ રીતે વિવિધ પ્રકારના ખેતીના પાક(મગ, મેથી) ઉગાડવા વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, શુભાંશુ શુકલા આઇ.એસ.એસ.માં રહીને ભારતીય યોગનું નિદર્શન પણ કરશે.
બીજીબાજુ ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે શુભાંશુ શુકલાનો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો વિશિષ્ટ અનુભવ અમને ગગનયાનના અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન વગેરે ભાવિ પ્રોેજક્ટમાં બહુ ઉપયોગી બની રહેશે. માર્ગદર્શકરૃપ બની રહેશે.
મહત્વની બાબત એ છે કે એક્ઝીમો --૪ મિશનમાં ભારતે ૫૫૦ કરોડ રૃપિયાનું યોગદાન પણ આપ્યું છે. ખરેખર તો એક્ઝીમો -- ૪ અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવાનો એક ખાનગી મિશન સાથે વેપારી હેતુસરનો પ્રયાસ છે. ભારતના અવકાશયાત્રી આ મિશનમાં જોડાઇને આઇ.એસ.એસ.માં જાય તો તેને અંતરિક્ષમાં રહેવાના વિશિષ્ટ પ્રકારના અનુભવ થાય. સાથોસાથ સંશોધન કરવાની યાદગાર તક પણ મળે. આ બધો અનુભવ ભારતના ભાવિ ગગનયાન પ્રોજેક્ટમાં અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં ઉપયોગી બને તેવો હેતુ છે.