ભૂતપૂર્વ સહાયક અને સીએ દ્વારા ફરિયાદ
અત્યાર સુધી ૧૨ કેસોમાં જાતીય શોષણના આઠ અને છેતરપિંડીના ચાર ગુનાનો સમાવેશ
મુંબઈ - નાસિકમાં સ્વયંભૂ જ્યોતિષી-કમ-ગોડમેન અશોક ખરાત સામે પોલીસે છેતરપિંડીનો વધુ એક કેસ નોંઘ્યો છે.અગાઉ અનેક મહિલાઓના જાતીય શોષણ અને છેતરપિંડી બદલ ખરાતની ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
તાજેતરના કેસમાં ખરાત પર ૨૦૧૮-૨૩ દરમિયાન તેમના તત્કાલીન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે રૃ.૮.૭૬ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. સીએ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે શુક્રવારે મોડી રાત્રે સરકારવાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી એક સમયે ખરાતનો વિશ્વાસુ હતો અને સિન્નર તાલુકામાં એક મંદિરનું સંચાલન કરતા તેના શિવનિકા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતો હતો. એફઆઈઆરમાં જણાવાયું છે કે ખરાતે કથિત રીતે કહ્યું હતું કે તેના માતા-પિતા મૃત્યુ પામી શકે છે અને આવનારી ઘટનાને ટાળવા માટે ચોક્કસ ધામક વિધિઓ કરવાની જરૃર છે. ખરાત સામે અત્યાર સુધીમાં નોંધાયેલા ૧૨ કેસોમાં મહિલાઓના જાતીય શોષણના આઠ ગુના અને છેતરપિંડીના ચાર કેસનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં સાત વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
શુક્રવારે ખરાતને તેની સામે નોંધાયેલા જાતીય શોષણના છઠ્ઠા કેસમાં ૨૬ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.


