Mumbai

અનિલ પવારની 169 કરોડની કાળી પ્રોપર્ટીઓ , કિંમતી સાડી-દાગીનાં ખરીદ્યા

By GS TEAM
15 Oct 20252 mins read
અનિલ પવારની 169 કરોડની કાળી  પ્રોપર્ટીઓ , કિંમતી સાડી-દાગીનાં ખરીદ્યા

વિરારના માજી મ્યુ. કમિશનરનું કુંડળી ઈડીએ ખોલી

ચોરસ ફૂટના ભાવે  બિલ્ડરો પાસેથી પૈસા પડાવનારા માજી મ્યુ. કમિશનરની ૪૪ કરોડની સંપત્તિઓ જપ્ત

મુંબઇવસઈ- વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવારે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર દ્વારા ૧૬૯ કરોડ રૃપિયા એકઠા કર્યા હોવાનું ઈડીની તપાસમાં ખુલ્યું છે.  અનિલ પવારે આ પૈસા તેમના સંબંધીઓ અને પત્નીના નામે ખોલવામાં આવેલી કંપનીઓમાં રોકાણ કર્યા હતા. તેમાંથી ૪૪ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં, ઇડીએ તાજેતરમાં અનિલ પવાર અને અન્ય ૧૮ લોકો સામે પીએમએલવાય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

 વસઈ-વિરારમાં ૪૧ અનધિકૃત ઇમારતોના કેસમાં ભ્રષ્ટાચારના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વસઈ-વિરારના ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવારની ધરપકડ કરી હતી અને ડેપ્યુટી ડિરેક્ટર ઓફ અર્બન પ્લાનિંગ વાય.એસ. રેડ્ડીને સસ્પેન્ડ કર્યા હતા. તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અનિલ પવારે દાવો કર્યો હતો કે તેમના સામેના આરોપો ખોટા હતા. મંગળવારે, ઇડીએ અનિલ પવારે ભ્રષ્ટ  રીતરસમથી  એકઠી કરેલી સંપત્તિ વિશે માહિતી આપી હતી.

ઇડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અનિલ કુમાર પવાર કમિશનર હતા ત્યારે બાંધકામ પરવાનગી આપતી વખતે મોટી લાંચ લેતા હતા. આ લાંચ માટે એક સિસ્ટમ બનાવવામાં આવી હતી. તેમાં ૧૫૦ રૃપિયાનો દર નક્કી કરવામાં આવ્યો હતો. તેમાં કમિશનર પવારને પ્રતિ ચોરસ ફૂટ ૫૦ રૃપિયા મળતા હતા. ગ્રીન બેલ્ટમાં આ દર ૬૨ રૃપિયા સુધીનો હતો. આ પરથી ઇડીને પુરાવા મળ્યા છે કે પવારે ૧૬૯ કરોડ રૃપિયાની સંપત્તિ ભેગી કરી હતી. આ સંપત્તિમાંથી તેઓ વૈભવી જીવન જીવી રહ્યા હતા. તેમણે હીરા, સોનાના ઘરેણાં, ઉંચી સાડીઓ, ફાર્મહાઉસ, ગોડાઉન ખરીદ્યા હતા. તેમણે વિવિધ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં પૈસા રોક્યા હતા.

ઇડીએ નાલાસોપારામાં ૪૧ અનધિકૃત ઇમારતોના કેસમાં તપાસ કરી હતી અને કાર્યવાહી શરૃ કરી હતી. જો કે, અનિલ પવારે દાવો કર્યો હતો કે આ ૪૧ ઇમારતો કમિશનર પદ સંભાળતા પહેલાની હતી અને તેનો તેની સાથે કોઈ સંબંધ નહોતો. જોકે, ઇડી એ આ દાવાને ખોટો ઠેરવ્યો છે. ઇડીએ કહ્યું છે કે પવારે આ ૪૧ અનધિકૃત ઇમારતોને સુરક્ષિત રાખવા માટે પ્રતિ ચોરસ ફૂટ ૫૦ રૃપિયા લાંચ લીધી હતી.

અનિલ પવારે આ બધી સંપત્તિઓ તેમની પત્ની, પુત્રી અને અન્ય સંબંધીઓના નામે બનાવી હતી, અને કેટલીક બેનામીમાં રોકાણ કરવામાં આવી હતી. તેમાંથી ૪૪ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અત્યાર સુધીમાં અનિલ કુમાર પવાર અને વાય.એસ. રેડ્ડી સહિત ૧૮ આરોપીઓ પાસેથી ૭૧ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

ઇડીએ પીએમએલવાય કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં કુલ ૧૮ આરોપીઓના નામ આપ્યા છે. તેમાં અનિલ કુમાર પવાર, વાય.એસ. રેડ્ડી, જમીન માફિયા સીતારામ ગુપ્તા, તેમના ભત્રીજા અરુણ ગુપ્તા, કમિશનર અનિલ કુમાર પવારની પત્ની ભારતી પવાર વગેરેનો સમાવેશ છે.