ગિલોય પ્રતિકાર શક્તિ વધારવામાં ઉપયોગી હોવા છતાં લિવર માટે હાનિકારક સાબિત થઈ શકે
- કોવિડ મહામારીમાં ચમત્કારિક તરીકે જાણીતી થયેલી આયુર્વેદ ઔષધિ
- આરોગ્ય નિષ્ણાંતોએ ડોક્ટરની સલાહ વિના ગિલોય જેવી ઔષધિનો ઉપયોગ કરવા સામે લાલબત્તી ધરી
કોવિડ મહામારી દરમ્યાન જેની લોકપ્રિયતા ટોચે પહોંચી હતી તેવી ગિલોયથી લિવરને નુકસાન થઈ શકે એવી ચેતવણી નિષ્ણાંતોએ ઉચ્ચારી છે. તેનો તબીબી સલાહ વિના ઉપયોગ કરવાથી લિવરને નુકસાન થઈ શકે છે એવી જાણકારી એક અભ્યાસમાં જાણવા મળી છે.
ગયા વર્ષે સંશોધકોએ પ્રસિદ્ધ કરેલા તેમના અભ્યાસમાં જણાવ્યું હતું કે લિવર ફેલ્યોરના છ કેસોનો સંબંધ ગિલોયના ઉપયોગ સાથે હતો. તેમના દાવાની આયુર્વેદના સમર્થકો દ્વારા ખૂબ ટીકા થઈ હતી. આયુર્વેદના સમર્થકોના જણાવ્યા અનુસાર આ દરદીઓએ ગિલોયની બદલે તેના જેવા દેખાવની અન્ય ઔષધિ લીધી હોવી જોઈએ. આ વિવાદને કારણે આયુષ વિભાગે ૫મી ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ગિલોયની ક્ષમતા વિષે એક સ્પષ્ટતા જારી કરી હતી.
પણ હવે આ જ સંશોધકોએ બોટેની, બાયોકેમિસ્ટ્રી અને જીનોમ સીક્વન્સીંગનો આધાર લઈને નિર્ણાયક રીતે સાબિત કર્યું છે કે એ દરદીઓએ ગિલોય જ લીધી હતી. જો કે લિવર ફેલ્યોરનું કારણ ગિલોયમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા દ્વારા સર્જાયેલી ઓટો ઈમ્યુન સ્થિતિ હતી એવી સ્પષ્ટતા છ દરદીઓની સારવાર કરનાર ડોક્ટરે કરી હતી.
જરનલ ઓફ ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ હેપાટોલોજીમાં પ્રકાશિત થયેલા છેલ્લા સંશોધનમાં તબીબી ઈતિહાસમાં પ્રથમ જ વાર બે ઔષધિઓ વચ્ચે તફાવત સ્પષ્ટ કરવા અને અજાણી ઔષધિ દ્વારા થતી આડઅસરનું વિશ્લેષણ કરવા એલ્ગોરિધમનો ઉપયોગ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે ગિલોય આયુર્વેદમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ઔષધિ છે અને તે જીવન બચાવનારી હોવાથી તેને અમૃત પણ કહેવામાં આવે છે.
પોદાર આયુર્વેદ હોસ્પિટલના ભૂતપૂર્વ ડીન અને આયુષના ડાયરેકટર ડો. ગોવિંદ ખટીએ જણાવ્યું કે ગિલોય એટલો રિજેનરેટીવ છોડ છે કે તેનો નાનો હિસ્સો પણ જમીન પર પડી જાય તો તેમાંથી નવો છોડ ઉગે છે. તેનાથી કોઈ નુકસાન થવાની સંભાવના જ નથી.
સંશોધકોના મતે ગિલોય રક્તમાં પ્રતિરોધક માર્કરો તો વધારે છે પણ સાથે જ તેનાથી કેટલાક હાઈપોથાઈરોડીઝમ અને ડાયાબીટીસના દરદીઓમાં ઓટોઈમ્યુન હેપટાઈટીસ બહાર લાવે છે.
ડોક્ટરોના મતે આધુનિક દવાની પણ આડઅસરો હોય છે પણ તેની ચેતવણી અગાઉથી અપાયેલી હોય છે. તેમના મતે આયુર્વેદિક દવામાં પણ આવા નિયમનું પાલન કરવું જરૂરી છે.
કોવિડ દરમ્યાન ગિલોય બાબતે જે છ દરદીઓનો અભ્યાસ કરાયો હતો તેમણે પ્રતિરોધકતા વધારવા ગિલોયનો ઉપયોગ કર્યો હતો. એમાંથી ચાર જણાએ ગિલોયના છોડના અર્કનો ઉપયોગ કર્યો હતો જ્યારે બે જણાએ મારકેટમાં મળતી તૈયાર દવાનો ઉપયોગ કર્યો હતો. જે દરદીનું મોત થયું તેણે તૈયાર દવાનો ઉપયોગ કર્યો હતો.
બીજા અભ્યાસમાં ટીમે છોડના ચાર સેમ્પલ અને દરદીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બે તૈયાર દવાનો અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસમાં જણાયું હતું કે તૈયાર દવામાં ગિલોયનો ઉપયોગ થયો હોવાનું સાબિત નહોતું થઈ શક્યું. આથી જ આયુષ વિભાગે ગયા વર્ષે ઓક્ટોબરમાં તબીબી નિરીક્ષણ હેઠળ જ ગિલોયનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.