અકોલાની મેડિકલ સ્ટુડન્ટ ઐશ્વર્યા ધાબળો ઓઢી ધૂમાડા વચ્ચેથી બહાર દોડી ગઇ
- બહાર નીકળી સૌથી પહેલાં પિતાને સુરક્ષિત હોવાનો મેસેજ કર્યો
- પાંચમા માળે નિંદ્રાધીન હતી અને પ્લેન ટકરાયું, જોકે, ચહેરા અને હાથ પગ પર સામાન્ય દાઝી ગઈ
મુંબઇ: અમદાવાદમાં ગઇકાલે એર-ઇન્ડિયાના વિમાનની દારૂણ દુર્ઘટના વખતે હોસ્ટેલની રૂમમાં સૂતેલી મહારાષ્ટ્રના અકોલાની રહેવાસી ઐશ્વર્યા તોશ્નીવાલ આબાદ બચી ગઇ હતી.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયૂટ મેડિકલ કોલેજના બીજા વર્ષની સ્ટુડન્ટ ઐશ્વર્યા હોસ્ટેલના પાંચમાં માળની રૂમમાં સૂતી હતી એ વખતે પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો અને કાળોડિબાંગ ધૂમાડો છવાઇ ગયો હતો. કંઇ દેખાતુ પણ નહોતું. આશ્વર્યાએ સમયસૂચકતા વાપરી ધાબળો ઓઢી લીધો હતો અને જીવ હથેળીમાં લઇને પાંચમે માળેથી સડસડાટ દાદરો ઉતરીને બહાર દોડી ગઇ હતી. નાસતી વખતે ચહેરા અને હાથ-પગ પર દાઝી ગઇ હતી. ઇજાની પરવા કર્યા વિના તેણે બહાર નીકળીને સૌથી પહેલું કામ અકોલાના દુર્ગ ચોકમાં આડીની દુકાન ચલાવતા પિતાને મોબાઇલમાં પોતે સલામત છે એ મેસેજ આપાવવાનું કર્યું હતું જે મેડિકલ કોલેજની હોસ્પિટલ પર પ્લેન તૂટી પડયું એમાં લગભગ ૨૦ સ્ટુડન્ટ માર્યા ગયા હતા.
ઐશ્વર્યાના પિતા અમોલ તોશ્નીવાલે જણાવ્યું હતું કે જ્યારે અમે ટીવી પર પ્લેન ક્રેશના સમાચાર જોયા અને વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ પર તૂટી પડયું છે એ ખબર પડી ત્યારે થોડી વાર તો અમે જાણે સૂધબૂધ ખોઇ બેઠા હતા. જ્યારે દીકરીનો ફોન આવ્યો કે તે સલામત છે ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો હતો. ઇશ્વરનો પાડ માનીએ એટલો ઓછો છે. અકોલામાં પોતાના દાદાનો જન્મદિવસ ઉજવી આગલે દિવસે જ અમદાવાદ પહોંચેલી ઐશ્વર્યાએ આ વિમાન અકસ્માતને પોતાના જીવનનો સૌથી ભયાવહ અનુભવ ગણાવ્યો હતો.