- મધ્યપૂર્વમાં તણાવથી મોંઘવારી વધશે
- ભારતમાં ઊંચા ફ્યુલ ખર્ચને કારણે ઘણી એરલાઈન્સે ફ્લાઈટ્સ ઘટાડી છે : ભાવ વધારાની શરૂઆત કરી છે
મુંબઈ : એર ટ્રાવેલ મોંઘુ થઈ શકે છે. વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેના રિપોર્ટના અનુસાર, મધ્યપૂર્વમાં તણાવ અને રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાને કારણે એવિએશન ફ્યુલના શુદ્ધિકરણનો ખર્ચ બમણો થઈ શકે છે. જેના કારણે આગામી સમયમાં એરફેરમાં વધારો થવાની સંભાવના છે.
એર ટિકિટમાં થનારા આ સંભવિત ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ જેટ ફ્યુલના ક્રેક સ્પ્રેડમાં થયેલો અસાધારણ ઉછાળો છે.
ક્રેક સ્પ્રેડ એટલે ક્રૂડ ઓઈલની કિંમત અને તેમાંથી તૈયાર થતા પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા કે જેટ ફ્યુઅલની કિંમત વચ્ચેનો તફાવત, જે સામાન્ય ભાષામાં રિફાઇનરીઓનો નફો દર્શાવે છે.ભૂતકાળમાં જેટ ફ્યુલનો ક્રેક સ્પ્રેડ સામાન્ય રીતે બેરલ દીઠ ૨૦ ડોલર કે તેનાથી ઓછો રહેતો હતો. પરંતુ, સપ્લાય ચેઈનમાં સર્જાયેલી કટોકટીને કારણે આ ક્રેક સ્પ્રેડ વધીને સરેરાશ બેરલ દીઠ ૫૦ ડોલરને પાર પહોંચી શકે છે.
મધ્યપૂર્વમાં તણાવને કારણે વૈશ્વિક એરલાઇન ઉદ્યોગ પર ભારે દબાણ સર્જાયું છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અંદાજ મુજબ ૨૦૨૬માં જેટ ફ્યુલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ ૧૫૨ ડોલર સુધી પહોંચી શકે છે.
જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૭૦ ટકા વધુ છે. ભારતમાં પણ તેની અસર દેખાવા લાગી છે. ઊંચા ફ્યુલ ખર્ચને કારણે એરલાઇન્સે કેટલીક ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો છે અને વધતા ખર્ચનો એક ભાગ મુસાફરો પર નાખવા માટે ભાડામાં વધારો કરવાની શરૂઆત કરી છે.


