બાંદરા ઈસ્ટમાં પરોઢે ડરામણો અનુભવ
ઓવરટેક કરવાના મુદ્દે બાઈકચાલકોએ ઉત્પાત મચાવ્યોઃ નિમિષાએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી
મુંબઈ - અભિનત્રી નિમિષા નાયરને મુંબઈની સડકો પર થયેલો એક ડરામણો અનુભવ તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને મહિલાઓની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે ૪.૫૦ વાગ્યે બાંદ્રા (ઈ)ના ખેરવાડી વિસ્તારમાં તે એક એગ્રીગેટર કેબમાં મુસાભરી કરી રહી હતી ત્યારે કેબ ચાલકે એક બાઈકને ઓવરટેક કરી હતી. બાઈક પર સવાર બે શખ્શો આ વાતથી રોષે ભરાયા હતા અને તેમણે કેબનો પીછો શરૃ કર્યો હતો. તેઓ કેબ ડ્રાઈવરને પાઠ ભણાવવા માગતા હતા. તેઓ સવારે ૪.૫૦ વાગ્યાની આસપાસ ખેરવાડી ફ્લાયઓવર નજીક પહોંચ્યા ત્યારે નશામાં લાગતા આ લોકોને તેમની કેબને આંતરી હતી અને તેમની બાઈક આડી લાવી કેબને રોકી અને ગુસ્સામાં કેબ ડ્રાઈવરને ગાળો ભાંડી હતી. આ લોકોએ છૂટથી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો અને કેબના દરવાજા બળજબરીથી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથેજ નાયરની કેબની બારીઓ નીચે કરવા જણાવ્યું હતું.
નિમિષા નાયરે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે સલામતીના કારણોસર કેબની બારીઓ ખોલી નહોતી. આ લોકો ડ્રાઈવરને મારવા માંગતા હતા. આ લોકો આક્રમક બની હેરાન કરી રહ્યા હતા. ત્યારે નાયરે વીડિયો કાઢવાનો પ્રયાસ કરતા આ બન્ને વધુ અકળાયા હતા. આ ઉપરાંત નાયરને પણ અપશબ્દો કહી તેની છેડતી કરી હતી. નાયરે જણાવ્યું હતું કે એક વર્ષમાં તેની સાથે આવી બીજી ઘટના બની હતી. ગત પહેલી જાન્યુઆરીના કોલાબામાં આવી જ ઘટના બન્યા બાદ તેણે એફઆઈઆર નોંધાવી હતી. નાયરે તેની વ્યસ્તતાને લઈ ઓનલાઈન ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સર્વરમાં ભૂલ હોવાથી ફરિયાદ થઈ શકી નહોતી. તેવું જણાવ્યું હતું.
નાયરની આ પોસ્ટ બાદ મુંબઈ પોલીસે નાયરનો સંપર્ક કર્યો હતો. જો કે તે કારમાં વ્યસ્ત હોવાથી સંપર્ક થઈ શક્યો નહોતો. તેથી હવે નાયર સામેથી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવશે.


