અભિનેતા મુકુલ દેવનું દિલ્હીમાં 54 વર્ષની વયે અવસાન, ફિલ્મસ્ટાર્સે અંજલિઓ આપી
મુકુલ દેવ છેલ્લા થોડા સમયથી હતાશામાં હતોઃ વિન્દુ દારાસિંહ
મુકુલ દેવે ટેલિવિઝન પર મુમકિન, એક સે બઢકર એક, કુટંુબ, કુમકુમ અને ઘરવાલી ઉપરવાલી શ્રેણીઓ કરી હતી
મુંબઇ - સન ઓફ સરદાર અને જય હો તથા યમલા પગલા દિવાના ફિલ્મોમાં તથા ટેલિવિઝન પર ઘરવાલી ઉપરવાલી, કુમકુમ અને કુટુંબ સિરિયલ્સમાં અભિનય કરનારા વિખ્યાત અભિનેતા મુકુલ દેવનું ૫૪ વર્ષની વયે દિલ્હીમાં એક ખાનગી હોસ્પિટલમાં ગઇ રાત્રે અવસાન થયું હતું. હિન્દી, પંજાબી, બંગાળી અને તેલુગુ ફિલ્મોમાંકામ કરનારા મુકુલ દેવના પરિવારમાં પુત્રી સિયાનો સમાવેશ થાય છે. મુકુલદેવના અવસાનના સમાચાર આવતાં જ સોશ્યલ મિડિયા પર તેના સહકળાકારો અને બોલિવૂડના ટોચના ફિલ્મ સ્ટાર્સે અંજલિઓ આપી હતી. મુકુલ દેવના અંતિમ સંસ્કાર દિલ્હીમાં નિઝામુદ્દીન વેસ્ટમાં મોડી સાંજે કરવામાં આવ્યા હતા.
મુકુલ દેવના નજીકના મિત્ર વિન્દુ દારાસિંહે જણાવ્યું હતું કે તે આઠ-દસ દિવસથી બીમાર હતો. તેની માતાના અવસાન બાદ તે હતાશામાં સરી પડયો હતો અને પોતાની તબિયતની કાળજી પણ લેતો નહોતો. અમે સન ઓફ સરદાર ટુ માટે તેને ફોટો શૂટમાં બોલાવવા માંગતા હતા પણ તેણે ફોન ઉપાડવાનો જ બંધ કરી દીધો હતો. ગઇકાલે રાત્રે હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું. તેની ભૂતપૂર્વ પત્ની શિલ્પા દેવથી થયેલી પુત્રી સિયા દેવનો તેના પરિવારમાં સમાવેશ થાય છે.
મુકુલ દેવનો જન્મ નવી દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા હરિદેવ પોલીસખાતામાં આસિસ્ટન્ટ કમિશનર હતા અને તેમણે મુકુલદેવને અફઘાન પરંપરાથી પરિચિત કરાવ્યો હતો. તેઓ પશ્તો અને પર્શિયન બોલી શકતાં હતા. મુુકુલ દેવ આઠમા ધોરણમાં હતો ત્યારે દૂરદર્શન પર ડાન્સ શોમાઇકલ જેક્સનનો ડાન્સ કરવા બદલ તેને પહેલીવાર નાણાં મળ્યા હતા. મુકુલ દેવે દિલ્હીમાં વિમાનચાલક તરીકે પણ ટ્રેનિંગ મેળવેલી હતી.
મુકુલ દેવે મુમકિન નામની ટીવી શ્રેણીમાં વિજય પાંડેની ભૂમિકા ભજવી ૧૯૯૬માં અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેણે દુરદર્શનની એક સે બઢકર એક કોમેડી કાઉન્ટ ડાઉન શોમાં પણ કામ કર્યું હતું. તેણે ફિયર ફેક્ટર ઇન્ડિયાની પ્રથમ સિઝન પણ હોસ્ટ કરી હતી. મુકુલ દેવે તેની પહેલી ફિલ્મ દસ્તકમાં એસીપી રોહિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની પણ આ પહેલી ફિલ્મ હતી.
મુકુલ દેવે બાદમાં હંંસલ મહેતાની ૨૦૧૭માં આવેલી ઓમેર્ટા ફિલ્મમાં સહલેખક તરીકે પણ કામ કર્યું હતું. હંસલ મહેતાએ તેને અંજલિ આપતાં જણાવ્યું હતું કે નોટ ડન મુકુલ મેરે દોસ્ત..હજી ઘણી કહાનીઓ છે, હજી ઘણું હસવાનું છે, હવે તો ઉસ પાર મળીશું. ફિલ્મ સ્ટાર અજય દેવગણે તેને અંજલિ આપતાં જણાવ્યું હતું કે હજી મને આ સમાચારની કળ વળી નથી. મુકુલ તારી પાસે બધી બાબતો હળવાશથી જોવાનો કસબ હતો. ગમે તેવા ગમગીન દિવસે પણ તું હળવો રહી શકતો હતો. ઓમ શાંતિ. દક્ષિણના સુપર સ્ટાર જુનિયર એનટીઆરે ૨૦૧૦ની તેમની એકશન ફિલ્મ અધૂરના સંસ્મરણો યાદ કરી અંજલિ આપતાં જણાવ્યું હતું કે મુકુલ દેવ ગારૃના અચાનક અવસાનથી ઉદાસ છું. અમારી ફિલ્મ અધૂરમાં સાથે ગાળેલો સમય અને તેમની અભિનય પ્રત્યેની નિષ્ઠા યાદ આવે છે. તેમના પરિવારને મારી સાંત્વના. આ ઉપરાંત મનોજ બાજપેયી, અર્શદ વારસી, કંગના રનૌત અને સોનુ સુદે પણ સોશ્યલ મિડિયા પર મુકુલ દેવને અંજલિઓ આપી હતી.