તમામ દસ્તાવેજ ચકાસીને જ વ્યવહાર કરવો
મુંબઈમાં પણ મોટી સંખ્યામાં ઘૂસણખોરો વસ્યા હોવાના અંદાજ સાથે પોલીસે કાર્યવાહી આદરી
મુંબઈ - મુંબઈ કે મહારાષ્ટ્રમાં જ નહિ તો સંપૂર્ણ દેશમાં બાંગ્લાદેશીઓની વધતી ઘૂસણખોરી એ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશમાં ગરીબી અને ભૂખમરાથી કંટાળી તેઓ ગેરકાયદે સીમા પાર કરી ભારતમાં આવતાં હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. આ વર્ષે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ૪૦૧ ગુના નોંધી ૧૦૦૧ જણને પ્રત્યાર્પિત કરાયા હોવાની માહિતી પોલીસે આપી છે. અત્યારસુધીની આ સૌથી મોટી કાર્યવાહી મનાય છે.
ખીણ, ડુંગર, જંગલ પાર કરી મુંબઈમાં ઠેકઠેકાણે બાંગ્લાદેશીઓ રહી રહ્યાં છે. અનેક જણ અહીં કામ કરી લાખોપતિ થયા હોવાનું સમયાંતરે થયેલી કાર્યવાહીમાં જણાયું છે. પોલીસ દ્વારા બાંગ્લાદેશી પર કાર્યવાહી ચાલી રહી છે. બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાયા બાદ તેમને તેમના વતનમાં મોકલવાની પ્રક્રિયાને અનેક વર્ષો લાગે છે. તે સમય દરમ્યાન ઘૂસણખોરો વિવિધ સરકારી યોજનાનો લાભ લે છે. તેમના બેંક ખાતામાંથી ગેરકાયદે વ્યવહાર થયાનું પણ જણાયું છે.
અનેક ઘરમાલિકો વધુ ભાડુ મેળવવા માટે દસ્તાવેજની તપાસ ન કરતાં ઘર ભાડે આપી દેતાં હોય છે. આથી માલિકો પર પણ કાર્યવાહીનો આદેશ પોલીસ સમયે સમયે આપે છે. પોતે સ્થાયી થયા બાદ બાંગ્લાદેશીઓ અન્યોને પણ અહીં બોલાવતાં હોય છે. આથી તેમની સામે એટીએસ, પોલીસે કાર્યવાહી આદરી છે અને તેમના ખાતા બંધ કરવાની પણ નોટિસો બેન્કોને મોકલાઈ છે.
પહલગામ હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં વિવિધ કારણસર આવેલાં વિદેશી નાગરિકોની વિશેષ પૂછપરછનો આદેશ આપ્યો હતો. તે મુજબ મુંબઈમાં વસતાં બાંગ્લાદેશી નાગરિકોની તપાસ કરી તેમને પણ તેમના વતન ફરી મોકલાયા છે. આથી જ હવે સરકારે નોટરી નહીં પરંતુુ લાઈસન્સવાળા ભાડા કરારને ફરજિયાત કરાયા છે.


