પરણિત યુવક પ્રેમિકા સાથે વસઈની લોજમાં ગયો હતો
છાતીમાં દુઃખાવા બાદ લોજનો સ્ટાફ હોસ્પિટલે લઈ ગયો પરંતુ મોત નીપજ્યું
મુંબઈ - વસઈના એક લોજમાં પોતાની પ્રેમિકા સાથે ગયેલા ૩૩ વર્ષીય યુવાનનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. પોલીસ તેના મૃત્યુનું ચોક્કસ કારણ શોધી રહી છે.
નાલાસોપારામાં રહેતા ૩૩ વર્ષીય પરિણીત પુરુષને વિરારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. શનિવારે તે તેની પ્રેમિકાને કલંબ બીચ પર આનંદી જીવન ફાર્મ નામના લોજમાં લઈ ગયો હતો. તેણે તેની સાથે થોડો સમય વિતાવ્યો હતો. એ પછી અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તેની ગભરાયેલી પ્રેમિકાએ લોજ સ્ટાફને આ વિશે જણાવ્યું હતું. યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મૃત્યુ થયું હતું.
આ યુવાનને એનર્જી ડ્રિંક્સ પીવાની આદત હતી. તે તેની સાથે ધૂમ્રપાન કરતો હતો. આ તેના મૃત્યુનું કારણ હોવાની શક્યતા છે, એમ અર્નાળા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પાટીલે જણાવ્યું હતું. મેડિકલ રિપોર્ટ બાદ તેના મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ કેસમાં અર્નાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.


