ભાયખલાના રાણીબાગમાં વિશાળ સર્પાલય રચાશે

પ્લાન તૈયાર કરવા સલાહકારની નિમણૂંક
ભારતની વિવિધ પ્રજાતિ ઉપરાંત અનેક વિદેશી સાપ પણ જોવા મળશે
મુંબઇ - મુંબઇ મહાનગરપાલિકા સંચાલિત ભાયખલાના રાણીબાગમાં થોડા વખતમાં જ સર્પાલય રચવામાં આવશે. ઝૂ ઓથોરિટીએ સર્પાલય રચવા માટેની મંજૂરી આપી છે. આમ રાણીબાગના મુલાકાતીઓને દેશ- વિદેશના સાપ જોવા મળશે.
સર્પાલય રચવા માટેનો પ્લાન તૈયાર કરવા અને ખર્ચનો અંદાજ મેળવવા માટે સલાહકારની નિમણૂંક કરવ ામાં આવી છે. સલાહકારનો રિપોર્ટ મળ્યા પછી ૨૦ દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ ગયા ડિસેમ્બર ૨૦૨૪માં જ મંજૂરી આપી દીધી હતી. સર્પાલયમાં ભારતીય પ્રજાતિના સાપ ઉપરાંત વિદેશી પ્રજાતિના સાપ પણ રાખવામાં આવશે.
અત્યારે રાણીબાગમાં હિપ્પોપોટેમસના એન્કલોઝરની સામેની તરફ અત્યારે જે સર્પ- નિવાસ છે એ તોડીને ત્યાં સર્પાલય બાંધવામાં આવશે. જુદા જુદા પ્રદેશના સર્પોમાંથી કોઇને એકદમ ઠંડુ વાતાવરણ ફાવે છે કોઇ ભેજવાળા જગ્યામાં તો કોઇ એકદમ ઉષ્ણ હવામાનમાં રહેવા ટેવાયેલા હોય છે. એટલે આ બધી બાબતો ધ્યાનમાં લઇને સર્પાલય બાંધવામાં આવશે.
નવા સર્પાલયમાં કિંગ કોંબ્રા, જોન-બો, સેન્ડ-બો, કોમન ઇન્ડિયન ક્રેટ રોક પાયથન, ચેક્ડ ક્લિકબેક, ઇન્ડિયન કોબ્રા બ્રાન્ડેડ ક્રેટ, મોનિટર લીઝાર્ડ, તેમજ અજગર અને ધામણ જેવા દેશ- વિદેશના સરીસૃપો જોવા મળશે.