મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, મોડી રાતે આગ લાગતાં, 3 મહિલા, 2 બાળક સહિત 7 જીવતાં ભડથું
Updated: Apr 3rd, 2024
Image Source: Twitter
Maharashtra: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. સંભાજીનગરના છાવણી વિસ્તારમાં સ્થિત એક બિલ્ડિંગમાં રાત્રે આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ભીષણ હતી કે, આ આગમાં એક જ પરિવારના 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.
3 મહિલા, 2 બાળક સહિત 7 જીવતાં ભડથું
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક 7 લોકોમાં 3 મહિલાઓ, બે બાળકો અને 2 પુરુષ સામેલ છે. જે સમયે બિલ્ડિંગમાં આગ લાગી તે સમયે પરિવાર સૂઈ રહ્યો હતો. હાલમાં તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજીનગરના સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.
શ્વાસ રૂંધાવાથી મોત
સરકારી હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે બિલ્ડિંગમાં આગ લાગી તે ત્રણ માળની બિલ્ડિંગ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી અને તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણે ઉપરના ફ્લોર પર રહેતા પરિવારના 7 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયા છે.