5 વર્ષનું બાળક ખીણમાં પટકાયુ, બચાવવા પાછળ દોડેલી માતાનું પણ મોત
જૈન તીર્થસ્થળ માંગીતૂંગી પર્વત પર કરુણાંતિકા
પર્વત ચઢતી વખતે બાળક લપસી પડયો, માતા તેને ખેંચવા જતાં પોતે પણ લપસીને નીચે પટકાઈ
મુંબઈ - નાસિકમાં જૈન તીર્થસ્થળ માંગીતૂંગી પર્વત પર પાંચ વર્ષનો બાળક લપસીને ખીણમાં ગબડયો હતો. તેને બચાવવા તેની પાછળ દોડેલી માતા પણ ખીણમાં પટકાતાં આખરે માતા પુત્ર બંનેનું મોત નીપજ્યું હતું.
માંગીતૂંગી પર્વત ેં વિશ્વની સૌથી ઊંચી ૧૦૮ ફૂટ દિગ્મર જૈન ઋષભદેવની મૂર્તિ માટે પ્રસિદ્ધ છે. તેથી હજારો લોકો આ જૈન તીર્થસ્થળની મૂલાકાતે આવે છે. તેવી જ રીતે જયખેડા પોલીસે જણાવ્યું મુજબ, મંગળવારે કાલવણના અભોમના પાવરા તેની પત્ની ગીતા અને બે બાળકો સાથે માંગીતુંગી દર્શન માટે આવ્યા હતા.
સાંજે ચાર વાગ્યાની આસપાસ તેઓ પર્વત પરના પગથિયા ચઢીને દર્શને જઈ રહ્યા હતા. ત્યારે પગથિયા પર પાણી હોવાથી પાંચ વર્ષીય રાજવીર પાવરાએ તેના બુટ ઉતારીને ઉઘાડે પગે પગથિયાંની બાજુમાં આવેલી રક્ષણાત્મક દિવાલ પર ચાલવાનું શરુ કર્યું હતું.
જેમાં ચાલતી વખતે પગ લપસી પડતા તે નીચે પડી ગયો હતો. આ ઘટના નિહાળતા જ તેની માતા ગીતા પાવરા પોતાના બાળકને બચાવવા દોડી ગઈ હતી. જો કે, આ ઘટનામાં બંને ખીણમાં પડી ગયા હતા. જેમાં ગીતા અને બાળકને માથામાં ગંભીર ઈજા થતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ પગથિયા ચઢી આગળ પહોંચી ગયેલા અભોમના અને તેના મોટા પુત્રને ત્યાં હાજર લોકો બૂમો પાડતા તેમને આ અંગે જાણ થઈ હતી. આ બાદ અભોમના પત્ની અને બાળકને બચાવવા દોડી પડયો હતો. જો કે, ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. આ બાદ મોડીરાત્રે ખીણમાંથી બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે હાલ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.