For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં 301 દિવસનું પાણીનો સંગ્રહ

Updated: Aug 17th, 2021


લગભગ 83.22  ટકા પાણી ઉપલબ્ધ, અપર વૈતરણા છલકાવવાની સપાટીથી 2 મીટર છેટું

મુંબઇ : મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં ૮૩.૨૨ ટકા એટલે કે ૩૦૧ દિવસનો પાણીનો જથ્થો જમા થતાં મુંબઈગરાને માથે આગામી વર્ષના ચોમાસા સુધી પાણીકાપ નહીં મૂકાય એવી  પરિસ્થિતિ છે. આજે જમા થયેલા પાણીનો જથ્થો ગત વર્ષની સરખામણીમાં વધુ છે. ગયા વર્ષે ૭૯.૦૯  ટકા પાણી જમા હતું.

શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડકસાગર, અપર વૈતરણા, મિડલ વૈતરણા મળીને મુંબઈને દરરોજ ૩૮૫૦ મિલિયન લીટર પાણીનો જથ્થો વિતરણ કરવામાં આવે છે.

પાલિકાએ આપેલા આંકડા મુજબ સાતેય જળાશય મળીને ૧ ઓક્ટોબરના રોજ ૧૪.૪૭  લાખ મિલિયન પાણી જમા થવું જોઈએ. તેની સામે આજે જળાશયોમાં કુલ ૧૨,૦૪,૫૪૨ મિલિયન લિટર પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. એટલે કે લગભગ ૮૩.૨૨૨ ટકા પાણીનો જથ્થા ઉપલબ્ધ થયો છે.

શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો પૈકી ચાર જળાશયો છલકાઈ ગયા છે. એમાં જુલસી, વિહાર, તાનસા અને મોડકસાગરનો સમાવેશ થાય છે. જ્યારે અપર વૈતરણા છલકાવવાની  સપાટીથી માત્ર બે મીટર છેટું છે. 

હાલમાં તાનસામાં ૯૯.૧૦ ટકા, મોડકસાગરમાં ૮૯.૫૭, મિડલ વૈતરણામાં ૮૮.૮૯, અપર વૈતરણામાં ૭૦.૪૬ ટકા, ભાતસામાં ૮૦.૫૫ ટકા, વિહારમાં ૧૦૦ ટકા અને તુલસીમાં ૧૦૦ ટકા પાણી જમા છે. 

Gujarat