Mumbai

મોનોરેલ ખોટકાતાં 200 પ્રવાસી અધવચ્ચે સવા કલાક ફસાયા, બેને ગુંગળાણ

By GS TEAM
20 Aug 20252 mins read
મોનોરેલ ખોટકાતાં  200 પ્રવાસી અધવચ્ચે સવા કલાક  ફસાયા, બેને ગુંગળાણ

એક પ્રવાસીએ હિંમત કરી કાચ તોડયા, ક્રેઈન  બોલાવી રેસ્ક્યૂ 

ભરવરસાદ વચ્ચે  લાઈટો  અને  એસી બંધ થતાં પ્રવાસીઓએ ચીસાચીસ મચાવી ઃ એક પ્રવાસી બેભાન ક્ષમતા કરતાં વધુ પ્રવાસી બેસાડાતાં ટેકનિકલ ફોલ્ટ 

મુંબઈ -  મુંબઈમાં આજે વરસેલા મૂશળધાર વરસાદ દરમિયાન વડાલા અને આચાર્ય અત્રે  ચોક વચ્ચે  આજે સાંજે ૬.૧૫ વાગે મોનોરેલ અચાનક બંધ પડી ગઈ હતી. અધવચ્ચે ફસાયેલા પ્રવાસીઓએ ચીસાચીસ મચાવી હતી. એક પ્રવાસીએ કાચનો દરવાજો તોડવાની હિંમત કરી બચાવ માટે પોકાર કર્યા હતા. ફાયર બ્રિગેડે ઊંચા બ્રિજ સુધી સવા કલાક સુધી  રેસ્ક્યૂ કાર્યવાહીી હાથ ધરી તમામ પ્રવાસીઓને નીચે ઉતાર્યા હતા. જોકે,  બે પ્રવાસીને ગૂંગળામણ થતાં તેમને હોસ્પિટલમાં દાખલકરાયા હતા. રાજ્ય સરકારે બનાવઅંગે તપાસનો આદેશ આપ્યો છે

જે બે પ્રવાસીઓની તબિયત બગડી હોવાથી  ૨૭ વર્ષીય ઐશ્વર્ય સંદિપ પવારને કેઈેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજા ૨૩ વર્ષીય અમન સિંહ તબિયત સારી છે.

મુંબઈમાં મૂશળધાર વરસાદ હોવાથી મધ્ય રેલવેની મેઈન લાઈન, હાર્બર લાઈન ઠપ થઈ ગઈ હતી. આથી હાર્બર માર્ગના પ્રવાસીઓ મોનો રેલનો પર્યાય થકી પ્રવાસ કરી રહ્યા હતા. આજે સાંજે ૫.૩૦ વાગે મોનોરેલ ભક્તિ પાર્ક સ્ટેશન નજીક અચાનક અટકી પડી હતી. એક અદાજ મુજબ ક્ષમતા કરતાં વધુ પ્રવાસી હોવાથી મોનો રેલમાં ખામી સર્જાયી હતી. 

 મોનોરેલના દરવાજા ખુલતા ન હતા. લાઈટ બંધ થઈ ગઈ હતી. એસી બંધ થયું હતું. પ્રવાસીઓને ગુંગણામણ થવા લાગી હતી. એક પ્રવાસી બેભાન થયો હતો. 

આખરે એક પ્રવાસીએ હિંમત કરીને મોનોરેલની કાચની બારીને ફોડી નાંખી હતી. ત્યારબાદ અગ્નિશમન દળે સલામત રીતે સુખરૃપ મોનોરેલમાંથી બહાર કાઢ્યા હતા. પ્રવાસીઓનો મોનોરેલમાંથી સવા કલાક બાદ છુટકારો થયો હતો.

આ દરમિયાન પાલિકાએ અધિકારીઓ સહિત મેડિકલ ટીમને પણ ઘટના સ્થળે મોકલી આપી હતી. 

એમએમઆરડીએના જોઈન્ટ કમિશનર આસ્થિક પાંડેએ જણાવ્યું હતું કે મોનોરેલની ક્ષમતા ૧૦૯ મેટ્રિક ટનની છે. પરંતુ આજે પ્રવાસીઓની સંખ્યા વધી જતાં ઓવરલોડ થઈ ગયો હતો. તે પછી વળાંક ઉપર ઈલેક્ટ્રીક કરન્ટ અચાનક બંધ થતાં ઈરજન્સી બ્રેક મોનોરેલ અટકી પડી હતી. મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશને જણાવ્યું હતું કે મૈસૂર કોલોની સ્ટેશન પાસે મોનોરેલને પાવર સપ્લાયનો સમસ્યા ઊભી થઈ હતી. અમારી ઓપરેશન્સ ટીમ અને મેઈન્ટેેન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વડાલા અને ચેમ્બૂર વચ્ચે સિંગલ લાઈન પર સેવા ચાલી રહી છે.દરમિયાન એમએમઆરડીએ અધિકારીએ કહ્યું કે મોનોરેલ બીજી મોનોરેલ સાથે જોડી નજીક સ્ટેશન સુધી લાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બ્રેક જામ હોવાને લીધે પ્રયત્ન સફળ રહ્યો નહતો.