Get The App

નાશિકના 145 ખેડૂતોએ રાષ્ટ્રપતિ પાસે આત્મહત્યાની મંજૂરી માગી

Updated: Mar 5th, 2023

GS TEAM

Google News
Google News
નાશિકના 145 ખેડૂતોએ રાષ્ટ્રપતિ પાસે આત્મહત્યાની મંજૂરી માગી 1 - image


આંદમૂળના ખેડૂતો ડુંગળીની હોળી કરશે, સીએમને આમંત્રણ

મુંબઇ: કાંદાના સાવ તળિયે બેસી ગયેલા ભાવને લીધે પારાવાર આર્થિક કટોકટીમાં મૂકાયેલા કાંદા ઉત્પાદક કિસાનોની હવે ધીરજ ખૂટી છે. નાશિકના ચાંદવડ તહેસીલના ૧૪૫ ખેડૂતોએ રાષ્ટ્રપતિને પત્ર લખી  આત્મહત્યાની પરવાનગી માગી છે. જ્યારે આંદરમૂળના ખેડૂતોએ લોહીથી આમંત્રણપત્ર લખી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ગામમાં ડુંગળીની હોળીની ઉજવણીમાં હાજર રહેવાની અપીલ કરી છે.

ખેડૂતોએ લોહીથી  સીએમને પત્ર મોકલ્યો, ખોટ ખાઈને કાંદા વેચવાને બદલે હાઈવે પર ફેંકવા કે ટ્રેકટર ચલાવી દેવાની ફરજ ં

કાંદા ઉત્પાદક ખેડૂતો આજે એક કે બે રૂપિયે કિલો કાંદા વેંચવા મજબૂર બન્યા છે. આટલા ઓછા ભાવ મળે એમાંથી ઉત્પાદન ખર્ચ પણ નથી નીકળતો એટલે ખોટ ખાઇને કાંદા વેંચવાને બદલે ખેડૂતો કાંદા  હાઇવે ઉપર ફેંકવા માંડયા છે અને ખેરમાં કાંદાના પાક ઉપર કકળતા કાળજે ટ્રેકટર ફેરવી કચડી નાખવા માંડયા છે.

દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક કેન્દ્ર લાસલગાંવમાં આંદોલન

મહારાષ્ટ્રના લાસલગાંવની ગણના દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક મથક તરીકે થાય છે.   કાંદાની કિંમતમાં બોલેલા કડાકાથી ખેડૂતોની  કમર તૂટી ગઇ હોવાથી લાસલગાંવ, પિંપળગાંવ અને ચાંદવડ ગામના ખેડૂતોએ શનિવારે અહમદનગર-પુણે હાઇવે ઉપર રસ્તારોકો આંદોલન છેડીને કલાકો સુધી વાહન-વ્યવહાર ખોરવી નાખ્યો હતો. આ ખેડતોએ સરકારી કચેરીની બહાર પણ ધરણા કર્યા હતા અને આ કટોકટીમાંથી બહાર લાવવા માટે શિંદે સરકારને અપીલ કરી હતી.

નિકાસ પર પ્રતિબંધને લીધે કફોડી દશા

મુંબઇ : કાંદાની નિકાસ ઉપર સરકારે લાદેલા પ્રતિબંધને કારણે માલનો ભરાવો થવા  માંડયો છે. અને ભાવ ગગડવા માંડયા છે, એટલે સરકારે પ્રતિબંધ ઉઠાવી લેવો જોઇએ એવી ખેડૂતોની માગણી છે.

અત્યાર સુધી બાંગલાદેશ અને શ્રીલંકા ભારતથી વધુમાં  વધુ કાંદાની ખરીદી કરતા હતા. પરંતુ બાંગલાદેશમાં કાંદા પર ઇમ્પોર્ટ ડયુટી ખૂબ જ વધારી દેવામાં આવી ચે અને શ્રીલંકા આર્થિક પાઇમાલીનો સામનો કરી રહ્યું છે. એટલે ભારતથી કાંદા મગાવવાનું પ્રમાણ ઘટી ગયું છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે ફિલિપાઇન્સ ્ને ઇન્ડોનેશિયા જેવા દેશો જ્યાં કાંદાની ઘણી બચત થાય એમ છે ત્યાં ભારતીય કાંદા મોકલવાની વ્યવસ્થા કરવી જોઇએ એમ કાંદા ઉત્પાદકો અને વેપારીઓનું કહેવું છે.

રાજ્ય સરકારની સમિતિ બુધવારે રિપોર્ટ અપાશે પછી સબસીડી મળશે

મુંબઇ: કાંદા ઉત્પાદક ખેડૂતોને રાહત મળે અ માટેના પગલાં સૂચવવા માટે રાજ્ય સરકારે ભૂતપૂર્વ માર્કેટિંગ ડાયરેકટર સુનીલ પવારના વડપણ નીચે સમિતિ રચી છે આ સમિતિ તેનો રિપોર્ટ બુધવાર સુધીમાં સરકારને સુપરત કરશે. ત્યાર પછી કાંદા ઉત્પાદક ખેડૂતોને સબસીડીની  જાહેરાત કરવામાં આવશે.


Tags :