Get The App

મુંબઇમાં ચાલુ ટ્રેનમાંથી 13 પ્રવાસીઓ પટકાયા : ચારનાં મોત

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઇમાં ચાલુ ટ્રેનમાંથી 13 પ્રવાસીઓ પટકાયા : ચારનાં મોત 1 - image


- બે ટ્રેન સામ સામે પસાર થઇ રહી હતી ત્યારે દરવાજે લટકતા પ્રવાસીઓ ટકરાઇને નીચે પડયા

- ઓટોમેટિક ડોર ઉપાય નથી, ટ્રેનોની લંબાઇ વધારો, મૃતકોને પાંચ લાખનું વળતર : પહેલીવાર આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પટકાયા

મુંબઇ : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન આજે સવાલે કેટલાય પ્રવાસીઓની જીવાદોરી ટૂંકાવવવાનું નિમિત્ત બની ગઈ હતી. આજે સવારે નવ વાગ્યાના અરસામાં મુંબઈ નજીકનાં મુંબ્રા સ્ટેશન પાસે સામસામે દિશામાંથી આવી રહેલી બે લોકલ ટ્રેનો એક તીવ્ર વળાંક પાસે એકદમ  નજીક આવી ગઈ ત્યારે જ બંને ટ્રેનોના દરવાજે  લટકતા પ્રવાસીઓ એકબીજા સાથે અથડાયા હતા. તેના કારણે ૧૩ પ્રવાસીઓ ટ્રેક પર પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રવાસીઓમાંથી ચારનાં મૃત્યુ નીપજ્યાં  હતાં.  દુર્ઘટના બાદ તરત જ રેલવેએ હવેથી  મુંબઈની તમામ લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક ડોર લગાડવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારોને પાંચ લાખના વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. 

સવારે રશ અવર્સ દરમિયાન ટ્રેનોમાં આમ પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવી ભીડ રહેતી હોય છે. સવારે નવ વાગ્યાના અરસામાં સીએસટીથી એક ટ્રેન કર્જતની દિશામાં જઈ રહી હતી ત્યારે વળતી દિશામાં કસારાથી સીએસટી તરફ ફાસ્ટ લોકલ આવી રહી હતી. મુંબ્રા સ્ટેશનના પીલર નંબર ૪૦/૩૦૪ પાસે  જ્યાં ટ્રેક એકદમ તીવ્ર વળાંક લે છે ત્યાંથી આ બે ટ્રેનો એકદમ સમીપથી પસાર થઈ રહી હતી ત્યારે દરવાજે લટકતા પ્રવાસીઓએ તેમના શરીર પર ભરાવેલી બેગ એકબીજા  સાથે ભટકાતાં પ્રવાસીઓ પણ તેની સાથે ખેંચાયા હતા. ટ્રેનની સ્પીડના કારણે પ્રવાસીઓ એકદમ તીવ્ર ધક્કા સાથે એકબીજાને ખેંચતાં નીચે પટકાયા  હતા.  આ જ સમયે આ ટ્રેનોમાં પ્રવાસ કરી રહેલા અન્ય પ્રવાસીઓના જણાવ્યા અનુસાર  કોઈ થાંભલા કે બીજી કોઈ ચીજ સાથે  કોચ અથડાયો હોય તેવો અવાજ આવ્યો હતો અને એકદમ  બૂમાબૂમ થઈ હતી. તેઓ કાંઈ સમજે કરે તે પહેલાં તો તેમણે લોકોને ટ્રેક નીચે પડેલા જોયા હતા. કુલ ૧૩ પ્રવાસીઓ આ અકસ્માતની ચપેટમાં આવી ગયા હતા. જેમાંથી ચાર પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો.

કસારા-સીએસટી ટ્રેનના  ગાર્ડે રેલવે તંત્રને  અકસ્માતની  જાણ કરી હતી. રેલવેના જણાવ્યા મુજબ થોડી જ વારમાં આરપીએફ, જીઆરપી, શહેરી પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇમરજ્ન્સી રીસ્પોન્સ ટીમ, મેડિકલ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમને પ્રથમ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ચાર પ્રવાસીઓને મૃત જાહેર કરાયા હતા અને બાકીના નવ પ્રવાસીઓને સારવાર આપીને આગળના ઇલાજ માટે થાણેની હોસ્પિટલમાં મોકલાયા હતા.  

 આ અકસ્માતમાં  ઉલ્હાસનગરના કેતન દિલીપ સરોજ(૨૩),દિવાના  રહેવાસી રાહુલ સંતોષ ગુપ્તા(૨૭), ક્લ્યાણ જીઆરપીના કોન્સ્ટેબલ વિકી બાબાસાહેબ મુખ્યદલ(૩૪), ઘોંડબંદરના મયુર શાહનાં(૪૩) મોત નીપજ્યાં હતાં. જ્યારે નવ પ્રવાસીઓને ગંભીર ઈજા થી હતી. આ પ્રવાસીઓને પહેલાં કલવાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.  તેમાંથી કેટલાક પ્રવાસીઓને બાદમાં થાણેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.  ઘાયલ પ્રવાસીઓમાં મોટાભાગના  ૨૨થી ૪૦ વય જૂથના પ્રવાસીઓ સમાવેશ થાય છે.  બે યુવતીઓ, ૨૧ વર્ષની યુવતી સ્નેહા ધોંડે અને ૨૬ વર્ષની પ્રિયંકા ભાટિયાને પણ આ અકસ્માતમાં ઈજા થઈ હતી. 

હોસ્પિટલો પર પ્રવાસીઓનાં પરિવારજનો, રેલવેના અધિકારીઓ તથા રાજકીય નેતાઓનો કાફલો ઉમટી પડયો હતો. રેલવે  તંત્રના દાવા અનુસાર આ  દુર્ઘટનાને કારણે રેલવે  વ્યવહાર પર કોઈ અસર પડી ન હતી. પરંતુ, પ્રવાસીઓના જણાવ્યા અનુસાર આજ ેરશ  અવર્સમાં જ સેન્ટ્રલની મેઈન લાઈન પરની તમામ ટ્રેનો ૨૦થી ૨૫ મિનીટ જેટલી મોડી પડી હતી. 

મુંબ્રા દિવા સ્ટેશન વચ્ચેના આ ભાગમાં તીવ્ર વળાંકના કારણે દરવાજે  લટકતા  પ્રવાસીઓ પટકાઈ પડવાથી મૃત્યુ પામતા હોય તેવી  ઘટના વારંવાર બને છે જોકે, આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નીચે  પટકાઈ પડયા હોય તેવું તાજેતરનાં વર્ષોમાં પહેલીવાર  બન્યું છે. 

વિપક્ષના નેતા રાહુલ ગાંધી , એનસીપીના નેતા શરદ પવાર સહિતના વિપક્ષી નેતાઓએ રેલવે સલામતી બાબતે સરકાર નિષ્ફળ ગઈ હોવાના આરોપો કર્યા હતા. બીજી તરફ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય પ્રધાનોએ  આ ઘટના અંગે દુુઃખ વ્યક્ત કરી રેલવે તપાસ યોજી  રહી હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ લાખનું  વળતર આપવાની તથા ઘાયલોની સારવારનો તમામ ખર્ચ વેઠવાની જાહેરાત કરી હતી. 

ખુદ રેલવેએ બોમ્બે હાઈકોર્ટમાં કબૂલાત કરી હતી

2005થી 2024 વચ્ચે લોકલ ટ્રેનોના અકસ્માતમાં 51 હજાર મોત 

- રોજ સરેરાશ સાત પ્રવાસીઓ લોકલ સંબંધિત અકસ્માતોમાં જીવ ગુમાવે છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી

મુંબઈ : મુંબઈની લોકલ ટ્રેનોમાં છેલ્લાં ૨૦ વર્ષોમાં ૫૧૮૦૨ પ્રવાસીઓ જીવ ગુમાવી ચૂક્યા છે. તેમાંથી  વેસ્ટર્ન રેલવેની ટ્રેનોમાં ૨૨૪૮૧ અને સેન્ટ્રલ રેલવેની ટ્રેનોમાં ૨૯, ૩૨૧ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 

મુંબઈ લોકલમાં રોજના સરેરાશ સાત પ્રવાસીઓનાં અકસ્માતોમાં મૃત્યુ થતાં હોવાનું ખુદ રેલવેએ ગત ઓગસ્ટમાં બોમ્બે હાઈકોર્ટ સમક્ષ એક એફિડેવિટમાં કબૂલ્યું હતું.  પશ્ચિમરેલવેના વરિષ્ઠ ડિવિઝનલ સિક્યોરિટી કમિશનરે  સંતોષ સિંહ રાઠોડે ગત વર્ષની ૨૮મી ઓગસ્ટે હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું. લોકલ ટ્રેનમાં થતા મૃત્યુ અટકાવવા કડક સિસ્ટમની હિમાયત કરતા આદેશના જવાબમાં સોગંદનામું નોંધાવાયું હતું.

વેસ્ટર્ન રેલવેની ૧૩૯૪ લોકલ ટ્રેનોમાં રોજના ૩૫ લાખ અને સેન્ટ્રલ રેલવેની ૧૮૧૦ લોકલ ટ્રેનોમાં ૪૦  લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે. આમ, મુંબઈની લોકલો રોજ ૭૫ લાખ પ્રવાસીઓનું વહન કરે છે. 

ભારતીય રેલવેના કુલ પ્રવાસીના એક તૃતિયાંશ પ્રવાસી મુંબઈ ઉપનગરીય રેલવે હાથ ધરે છે. બીજા શબ્દોમાં મુંબઈ એકલું આખી રેલવેના ૬૫ ટકા પ્રવાસીઓ ધરાવે છે. 

જોકે, આ  મૃત્યુમાં ટ્રેનમાંથી પડી જવા ઉપરાંત  ટ્રેક ક્રોસ કરતી વખતે મોતના બનાવોનો  પણ સમાવેશ થાય છે. 

રેલવે અધિકારીઓએ હાઈકોર્ટને ત્યારે પણ મૃત્યુ દર ઘટાડવા  યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. 

Tags :