Get The App

મુંબઈની લોકલ ટ્રેનમાંથી ૧૩ પ્રવાસી પટકાયા, ચારનાં મોત

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈની  લોકલ ટ્રેનમાંથી ૧૩ પ્રવાસી પટકાયા, ચારનાં મોત 1 - image


મુંબ્રા સ્ટેશનના શાર્પ ટર્ન નજીક બે ટ્રેનો સામસામે  પસાર  થઈ રહી હતી ત્યારે દરવાજે લટકતા પ્રવાસીઓ એકમેક સાથે ટકરાઈને નીચે પડયા

દુર્ઘટના બાદ રેલવે તંત્રએ મુંબઈની તમામ લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક ડોર લગાડવાની જાહેરાત કરીઃ મૃતકોને પાંચ લાખનું વળતરઃ મુંબ્રા સ્ટેશન પર ટ્રેનમાંથી  પટકાતાં પ્રવાસીઓના મોતની છાશવારે ઘટનાઓ, જોકે, પહેલીવાર આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પટકાયા

મુંબઈ -  મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન આજે સવાલે કેટલાય પ્રવાસીઓની જીવાદોરી ટૂંકાવવવાનું નિમિત્ત બની ગઈ હતી. આજે સવારે નવ વાગ્યાના અરસામાં મુંબઈ નજીકનાં મુંબ્રા સ્ટેશન પાસે સામસામે દિશામાંથી આવી રહેલી બે લોકલ ટ્રેનો એક તીવ્ર વળાંક પાસે એકદમ  નજીક આવી ગઈ ત્યારે જ બંને ટ્રેનોના દરવાજે  લટકતા પ્રવાસીઓ એકબીજા સાથે અથડાયા હતા. તેના કારણે ૧૩ પ્રવાસીઓ ટ્રેક પર પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રવાસીઓમાંથી ચારનાં મૃત્યુ નીપજ્યાં  હતાં.  દુર્ઘટના બાદ તરત જ રેલવેએ હવેથી  મુંબઈની તમામ લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક ડોર લગાડવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારોને પાંચ લાખના વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. 

સવારે રશ અવર્સ દરમિયાન ટ્રેનોમાં આમ પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવી ભીડ રહેતી હોય છે. સવારે નવ વાગ્યાના અરકસામાં સીએસટીથી એક ટ્રેન કર્જતની દિશામાં જઈ રહી હતી ત્યારે વળતી દિશામાં કસારાથી સીએસટી તરફ ફાસ્ટ લોકલ આવી રહી હતી. મુંબ્રા સ્ટેશનના પીલર નંબર ૪૦/૩૦૪ પાસે  જ્યાં ટ્રેક એકદમ તીવ્ર વળાંક લે છે ત્યાંથી આ બે ટ્રેનો એકદમ સમીપથી પસાર થઈ રહી હતી ત્યારે દરવાજે લટકતા પ્રવાસીઓએ તેમના શરીર પર ભરાવેલી બેગ એકબીજા  સાથે ભટકાતાં પ્રવાસીઓ પણ તેની સાથે ખેંચાયા હતા. ટ્રેનની સ્પીડના કારણે પ્રવાસીઓ એકદમ તીવ્ર ધક્કા સાથે એકબીજાને ખેંચતાં નીચે પટકાયા  હતા.  આ જ સમયે આ ટ્રેનોમાં પ્રવાસ કરી રહેલા અન્ય પ્રવાસીઓના જણાવ્યા અનુસાર  કોઈ થાંભલા કે બીજી કોઈ ચીજ સાથે  કોચ અથડાયો હોય તેવો અવાજ આવ્યો હતો અને એકદમ  બૂમાબૂમ થઈ હતી. તેઓ કાંઈ સમજે કરે તે પહેલાં તો તેમણે લોકોને ટ્રેક નીચે પડેલા જોયા હતા. કુલ ૧૩ પ્રવાસીઓ આ અકસ્માતની ચપેટમાં આવી ગયા હતા. જેમાંથી ચાર પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો.

કસારા-સીએસટી ટ્રેનના  ગાર્ડે રેલવે તંત્રને  અકસ્માતની  જાણ કરી હતી. રેલવેના જણાવ્યા મુજબ થોડી જ વારમાં આરપીએફ, જીઆરપી, શહેરી પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇમરજ્ન્સી રીસ્પોન્સ ટીમ, મેડિકલ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમને પ્રથમ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ચાર પ્રવાસીઓને મૃત જાહેર કરાયા હતા અને બાકીના નવ પ્રવાસીઓને સારવાર આપીને આગળના ઇલાજ માટે થાણેની હોસ્પિટલમાં મોકલાયા હતા.  

 આ અકસ્માતમાં  ઉલ્હાસનગરના કેતન દિલીપ સરોજ(૨૩),દિવાના  રહેવાસી રાહુલ સંતોષ ગુપ્તા(૨૭), ક્લ્યાણ જીઆરપીના કોન્સ્ટેબલ વિકી બાબાસાહેબ મુખ્યદલ(૩૪), ઘોંડબંદરના મયુર શાહનાં(૪૩) મોત નીપજ્યાં હતાં. જ્યારે નવ પ્રવાસીઓને ગંભીર ઈજા થી હતી. આ પ્રવાસીઓને પહેલાં કલવાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.  તેમાંથી કેટલાક પ્રવાસીઓને બાદમાં થાણેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.  ઘાયલ પ્રવાસીઓમાં મોટાભાગના  ૨૨થી ૪૦ વય જૂથના પ્રવાસીઓ સમાવેશ થાય છે.  બે યુવતીઓ, ૨૧ વર્ષની યુવતી સ્નેહા ધોંડે અને ૨૬ વર્ષની પ્રિયંકા ભાટિયાને પણ આ અકસ્માતમાં ઈજા થઈ હતી. 

હોસ્પિટલો પર પ્રવાસીઓનાં પરિવારજનો, રેલવેના અધિકારીઓ તથા રાજકીય નેતાઓનો કાફલો ઉમટી પડયો હતો. રેલવે  તંત્રના દાવા અનુસાર આ  દુર્ઘટનાને કારણે રેલવે  વ્યવહાર પર કોઈ અસર પડી ન હતી. પરંતુ, પ્રવાસીઓના જણાવ્યા અનુસાર આજ ેરશ  અવર્સમાં જ સેન્ટ્રલની મેઈન લાઈન પરની તમામ ટ્રેનો ૨૦થી ૨૫ મિનીટ જેટલી મોડી પડી હતી. 

મુંબ્રા દિવા સ્ટેશન વચ્ચેના આ ભાગમાં તીવ્ર વળાંકના કારણે દરવાજે  લટકતા  પ્રવાસીઓ પટકાઈ પડવાથી મૃત્યુ પામતા હોય તેવી  ઘટના વારંવાર બને છે જોકે, આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નીચે  પટકાઈ પડયા હોય તેવું તાજેતરનાં વર્ષોમાં પહેલીવાર  બન્યું છે. 

વિપક્ષના નેતા રાહુલ ગાંધી , એનસીપીના નેતા શરદ પવાર સહિતના વિપક્ષી નેતાઓએ રેલવે સલામતી બાબતે સરકાર નિષ્ફળ ગઈ હોવાના આરોપો કર્યા હતા. બીજી તરફ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય પ્રધાનોએ  આ ઘટના અંગે દુુઃખ વ્યક્ત કરી રેલવે તપાસ યોજી  રહી હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ લાખનું  વળતર આપવાની તથા ઘાયલોની સારવારનો તમામ ખર્ચ વેઠવાની જાહેરાત કરી હતી.


Tags :