દરરોજ આશરે ૩૫ બાળકોના મોત થાય છે
છેલ્લાં પાંચ વર્ષમાં બાળમૃત્યુનું પ્રમાણ ઘટયું હોવા છતાં આ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવી નથી
મુંબઈ - મહારાષ્ટ્રમાં બાળમૃત્યુ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, છતાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાહેર આરોગ્ય વિભાગના અહેવાલમાં સામે આવ્યું છે. ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યમાં કુલ ૧૨,૭૯૨ બાળમૃત્યુ નોંધાયા છે, એટલે કે દરરોજ સરેરાશ ૩૫ બાળકોના મૃત્યુ થાય છે, જે ચિંતાજનક બાબત છે. પાંચ વર્ષ પહેલા આ આંકડો લગભગ ૪૫ હતો, એટલે થોડો ઘટાડો થયો હોવા છતાં પડકાર હજુ યથાવત્ છે.
આરોગ્ય વિભાગ મુજબ, બાળમૃત્યુ ઘટાડવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને દરેક મૃત્યુનું વિશ્લેષણ કરવા માટે સમિતિઓ કાર્યરત છે. માતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, કારણ કે બાળકોનું સ્વાસ્થ્ય મોટા ભાગે માતાના સ્વાસ્થ્ય પર આધારિત હોય છે. સાથે જ રસીકરણ અભિયાન પાયાના સ્તરેથી મજબૂત રીતે ચલાવવામાં આવી રહ્યું છે જેથી એકપણ બાળક આ સુવિધાથી વંચિત ન રહે.
બાળમૃત્યુના મુખ્ય કારણોમાં વહેલો જન્મ, જન્મ સમયે ઓછું વજન, જન્મ સમયે શ્વાસ ન લઈ શકવો (બર્થ એસ્ફિક્સિયા), શ્વસન સંબંધિત તકલીફો, ન્યુમોનિયા, સેપ્સિસ, જન્મજાત બીમારીઓ અને ઓચિંતા મૃત્યુનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડા મુજબ, ૨૦૨૧-૨૨માં ૧૬,૭૪૮, ૨૦૨૨-૨૩માં ૧૭,૧૫૦, ૨૦૨૩-૨૪માં ૧૩,૮૧૦, ૨૦૨૪-૨૫માં ૧૩,૭૨૮ અને ૨૦૨૫-૨૬માં ૧૨,૭૯૨ બાળમૃત્યુ નોંધાયા છે, જે દર્શાવે છે કે ઘટાડો થયો છે પરંતુ સમસ્યા હજી સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી નથી.


