સેવાને ઝડપી બનાવવા માટે નિર્ણય
મુંબઈના સીમાડે રચાનારાં ચાર પ્રવેશ દ્વારમાંથી એક ડબ્બાવાળાને સમર્પિત કરાશે
મુંબઇ - પચરંગી મુંબઇ શહેરની આગવી ઓળખ બની ગયેલા ડબ્બાવાળાને ટૂંક સમયમાં ૧૦૫ ઇ-બાઇક્સ આપવામાં આવશે. ઉપરાંત મુંબઇની ભાગોળે ચાર પ્રવેશદ્વાર ઉભા કરવામાં આવનાર છે તેમાંથી એક પ્રવેશદ્વાર ડબ્બાવાળાની કામગીરીની ઝાંખી કરાવતા થીમને આધારે રચાશે.
બાંદરામાં ઉભા કરવામાં આવેલા મુંબઇ ડબ્બાવાળા આંતરરાષ્ટ્રીય અનુભવ કેન્દ્રની તાજેતરમાં જ મુંબઇના મેયર રિતુ તાવડેએ મુલાકાત લીધી એ વખતે તેમણે ૧૦૫ ઇ-બાઇક ફાળવવાની જાહેરાત કરી હતી. અત્યારે ખાસ કરીને પરાં વિસ્તારમાં ડબ્બાવાળા ઘરે ઘરેથી ટિફિન ભેગા કરીને મોટે ભાગે સાઇકલ ઉપર કે પછી હાથગાડીમાં અથવા લારીમાં સ્ટેશન સુધી પહોંચાડે છે. આમાં સમય બહુ ખર્ચાય છે. એટલે જ સેવાને ઝડપી બનાવવા માટે ૧૦૫ ઇ-બાઇક ફાળવવામાં આવશે એમ ડબ્બાવાળાના સંગઠનના સૂત્રોએ જણાવ્યું હતું.
ડબ્બાવાળાની સેવાની શરૃઆત ૧૮૯૦માં થઇ હતી. આમ લગભગ ૧૩૫ વર્ષથી ડબ્બાવાળાની સેવા અવિરત ચાલી રહી છે. અત્યારે ડબ્બાવાળાના રોજ એક લાખથી વધુ ટિફિન જુદી જુદી જગ્યાએ પહોંચાડે છે. જોકે કોવિડ લોકડાઉન પહેલાં આ સંખ્યા બે લાખથી વધુ હતી.
ડબ્બાવાળાની કામગીરીને બિરદાવવા માટે દક્ષિણ મુંબઇમાં ક્રાફર્ડ માર્કેટ નજીકના ચોકમાં અનોખું સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.


