મુલુંડના 102 વર્ષીય તબીબનું દેહહાનઃ રાજ્યના સૌથી વૃદ્ધ દેહદાતા બન્યા

અવસાનના ૩૦ કલાક બાદ નાયર હોસ્પિટલને દેહ સોંપાયો
ડો. મોહન પરમારનો દેહ દોઢ દિવસ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો- કેટલીક જટિલતાઓ બાદ દેહદાન પાર પડયું
મુંબઈ - મુંબઈના મુલુંડના ડો. મોહન નાથુલાલ પરમારનું ૧૦૨ વર્ષની વયે નિધન થતાં તેમનું દેહદાન કરાયું હતું. રાજ્યમાં આટલી મોટી વયે દેહદાનનો કદાચ આ જવલ્લે જ જોવા મળે તેવો કિસ્સો છે.
ડો. મોહન પરમારે ગઈ તા. ૩૦મી સપ્ટેમ્બરે રાતે ૨.૪૧ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા તેમનાં દીકરી બહારગામથી આવવાના હોવાથી દોઢ દિવસ માટે તેમનો પાર્થિવ દેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.
તેમના ગાયનેકોલોજિસ્ટ પુત્ર ડો. વિક્રમ પરમાર તથા પરિવારે આ શોકની ઘડીએ પણ સ્વસ્થતાપૂર્વક ડો. મોહન પરમારનો દેહ દેહદાન માટે સોંપવા નિર્ણય લીધો હતો.
ધી ફેડરેશન ઓફ ઓર્ગન એન્ડ બોડી ડોનેશનના પ્રમુખ પુરુષોત્તમ પવારે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે, શરૃઆતમાં, મૃત્યુના કારણ અંગે ટેકનિકલ મુશ્કેલીના કારણે દેહદાન પાર પડશે કે કેમ તે એક સવાલ હતો. જોકે, મુલુંડના કુલીનકાંત લુથિયાએ સમયસર આપેલી વિગતો તથા વર્ષોના અનુભવના આધારે આખરે ૩૦ કલાક પછી પણ દેહદાન સફળતાપૂર્વક થઈ શક્યું હતું. જો કે, મારા એટલા વર્ષોનો અનુભવનો ઉપયોગ કરીને ૩૦ કલાક પછી પણ દેહ દાન પ્રક્રિયા સફળ બનાવી હતી. મુંબઈ સેન્ટ્રલ સ્થિત નાયર હોસ્પિટલના ફિઝિયોલોજી વિભાગના પ્રમુખ ડા. યુવરાજ ભોસલેના સહયોગથી, શરીરને પ્રયોગશાળા સંશોધન અને તબીબી શિક્ષણ માટે એક દુર્લભ ઉદાહરણ તરીકે આદરપૂર્વક સ્વીકારવામાં આવ્યું હતું.
તેમના મૃત્યુના ૩૦ કલાક પછી, ૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના સવારે ૯ વાગ્યે, દેહને આદરપૂર્વક નાયર હોસ્પિટલને સોંપવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ડા. યુવરાજ ભોંસલે પોતે હાજર રહ્યા હતા અને આ ૧૦૦ વર્ષીય મહાન દાતાને શ્રદ્ધાંજલિ આપી હતી. ડા. મોહન પરમારની પુત્રી એ બીજા દિવસે સવારે ભારત પહોંચી અને તેમના પિતાના દર્શન કર્યા અને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
પુરુષોત્તમ પવારે જણાવ્યું હતું કે દેહદાન પ્રવૃત્તિની તેમની યાદગીરીમાં ડો. મોહન પરમાર કદાચ રાજ્યના સૌથી વૃદ્ધ દેહદાતા હોઈ શકે છે. તેમણે આ સમર્પણ બદલ સમગ્ર પરિવારનો આભાર માન્યો હતો.








