વિજ્ઞાન પ્રેરણા અભિયાન અંતર્ગત પસંદગી
ગ્રામિણ વિદ્યાર્થીઓને મળશે અંતરિક્ષ સંશોધનનો પ્રત્યક્ષ અનુભવ
મુંબઈ - રાજ્ય સરકારના વિજ્ઞાાન પ્રેરણા અભિયાન અંતર્ગત મહારાષ્ટ્રની વિવિધ આશ્રમશાળાઓના ૧૦૦ વિદ્યાર્થીઓની ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ની મુલાકાત માટે પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની પસંદગી શૈક્ષણિક ગુણવત્તા પરીક્ષાના ગુણના આધારે કરવામાં આવી છે. તેઓ ૧૫થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ઇસરોના વિવિધ વૈજ્ઞાાનિક કેન્દ્રોની મુલાકાત લેશે.
આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય હેતુ ગ્રામિણ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાાન પ્રત્યે જિજ્ઞાાસા, સંશોધનવૃત્તિ અને વૈજ્ઞાાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને અંતરિક્ષ સંશોધન અંગે વિસ્તૃત માહિતી મળશે અને આધુનિક તકનીકી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ઇસરોની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ઉપગ્રહ નિર્માણ, રોકેટ પ્રક્ષેપણ પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ, વિજ્ઞાાન વર્કશોપ તેમજ નિષ્ણાત વૈજ્ઞાાનિકો સાથે સંવાદ કરવાની તક મળશે. આ અનુભવ તેમના પ્રાયોગિક અને અનુભવાધારિત શિક્ષણને નવી દિશા આપશે.
વિદ્યાર્થીઓનો પ્રવાસ વિમાન દ્વારા યોજાશે અને તેમની સુરક્ષા તથા નિવાસ માટે સુવ્યવસ્થિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહારાષ્ટ્રની આશ્રમશાળાઓમાંથી કુલ ૯૮૦ વિદ્યાર્થીઓમાંથી ધો. ૯થી ૧૧ના પસંદ કરાયેલા ૫૦ વિદ્યાર્થી અને ૫૦ વિદ્યાર્થીનીઓને રાષ્ટ્રીય વૈજ્ઞાાનિક સંસ્થાનો નજીકથી અનુભવ મેળવવાની અનોખી તક મળશે.


