Get The App

મુંબઈમાં 15મી મેથી 10 ટકા પાણી કાપનો અમલ

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈમાં 15મી મેથી 10 ટકા પાણી કાપનો અમલ 1 - image

થાણે, ભિવંડીને પણ કાપ લાગુ પડશે

હાલ ૨૩ ટકા પાણી બચ્યું છે ઃ ભાત્સાના રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરાશે

મુંબઈ - મુંબઈને પાણી પૂરૃં પાડતા જળાશયોની સપાટી ઝડપથી નીચે જઈ રહી હોવાથી મુંબઈ મહાપાલિકાએ ૧૫મી મેથી ૧૦ ટકા પાણી કાપની જાહેરાત કરી છે.

મુંબઈ ઉપરાંત થાણે અને ભિવંડીના અમુક ભાગમાં બીએમસી તરફથી પાણી પહોંચાડવામાં આવે છે. એ વિસ્તારોને પણ પાણીકાપ લાગુ પડશે. જ્યાં સુધી સંતોષકારક વરસાદ ન પડે અને જળાશયોમાં નવા પાણીની આવક ન થાય ત્યાં સુધી કાપ અમલમાં રહશે એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

અસહ્ય ગરમીમાં બાષ્પીભવનનું પ્રમાણ ઝડપથી વધતા તેમ જ લગભગ સવા કરોડની આબાદી દ્વારા કરવામાં આવતા પાણીના વપરાશને કારણે મુંબઈને પાણી પુરૃં પાડતા સાત જળાશયોની સપાટી ઝડપથી નીચી જવા માંડી છે. બીજું હવામાન ખાતાએ આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછા વરસાદની કરેલી આગાહીને લીધે સાવચેતીના પગલાં રૃપે ૧૦ ટકા પાણીકાપનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈને પાણી પુરૃં પાડતાં જળાશયોમાં આજની તારીખે ૩૪૦,૩૯૯ મિલિયન લીટર પાણીનો સંગ્રહ હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈનો વાર્ષિક જરૃરિયાત ૧૪,૪૭,૩૬૩ મિલિયન લીટર પાણીની છે. એટલે વાર્ષિક જરૃરિયાતના  ૨૩.૫૨ ટકા ભાગનું પાણી સંગ્રહાયેલું હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈને ભાત્સા ડેમના રિઝર્વ સ્ટોકમાંથી ૧,૪૭,૦૯૨ મિલિયન લીટર અને અપર વૈતરણા ડેમમાંથી ૯૦,૦૦૦મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થશે.

બીએમસીએ લોકોને પાણીના વપરાશમાં કરકસર કરવાની અને વેડફાટ અટકાવવાની અપીલ કરી છે.