Get The App

રમખાણ, પોલીસકર્મીની હત્યાના પ્રયાસના 10 આરોપી 19 વર્ષે નિર્દોષ જાહેર

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
રમખાણ, પોલીસકર્મીની હત્યાના પ્રયાસના 10 આરોપી 19 વર્ષે નિર્દોષ જાહેર 1 - image

કાનપુરની  ઘટના બાબતે ઉલ્હાસનગરમાં તોફાન થયું હતું

કોર્ટે પોલીસની ઝાટકણી કાઢીઃ પુરાવા અસ્પષ્ટ છે, અઢી હજારનાં ટોળાંમાંથી આરોપીઓની ઓળખ કેવી રીતે કરી

થાણે  મુંબઈ -  ની એક કોર્ટે ૧૯ વર્ષ જૂના વિરોધ પ્રદર્શન દરમિયાન રમખાણો અને પોલીસ કર્મચારીઓની હત્યાના પ્રયાસના કેસમાં ૧૦ આરોપીઓને નિર્દોેષ જાહેર કર્યા છે. ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અસ્પષ્ટ અને અપૂરતા હોવાનું કોર્ટે નોંધ્યું હતું.  

કલ્યાણના એડિશનલ સેશન્સ જજ પીઆર અષ્ટુરકરે  પહેલી  ડિસેમ્બરના રોજ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામે લગાવવામાં આવેલા કોઈપણ આરોપને નિશંકપણે સાબિત કરી શક્યો નથી.

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, ૩૦ નવેમ્બર, ૨૦૦૬ના રોજ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તે વર્ષે ૨૮ નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં બનેલી અપ્રિય ઘટના બાદ થયું હતું. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને તેમાંથી કેટલાક (આરોપીઓએ) હંગામો મચાવ્યો, ખાનગી અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડયું અને પોલીસ કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો.

પોલીસે બાદમાં ૧૪ વ્યક્તિઓ સામે હત્યાનો પ્રયાસ, રમખાણો અને ગેરકાયદે સભા યોજવી, બોમ્બે પોલીસ અધિનિયમ અને જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમની જોગવાઈઓ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

ટ્રાયલ દરમિયાન ચાર આરોપીઓના મૃત્યુને કારણે તેમના વિરુદ્ધનો કેસ બંધ કરવામાં આવ્યો હતો.

ન્યાયાધીશે આદેશમાં કહ્યું, એવું જોઈ શકાય છે કે કોઈ સ્વતંત્ર સાક્ષીનો કોઈ પુરાવો નથી. કોઈ ઓળખ પરેડ યોજાઈ ન હોવાથી હાલના આરોપીઓની ઓળખ ૨૦૦૦ થી ૨૫૦૦ લોકોના ટોળામાંથી કેવી રીતે થઈ તે અંગે કોઈ રેકોર્ડ નથી

 પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવા ખૂબ જ સામાન્ય અને અસ્પષ્ટ છે. આરોપીઓના દોષને સાબિત કરવા માટે તે પૂરતા નથી, તે પણ વાજબી શંકાની બહાર,એમ કોર્ટે કહ્યું હતું.

કોર્ટે એ પણ નોંધ્યું કે બે મુખ્ય સાક્ષીઓ તેમના અગાઉના નિવેદનોથી  દૂર રહ્યા અને ફરિયાદ પક્ષના કેસને ટેકો આપ્યો નહીં.

આ કેસમાં નિર્દોષ છુટેલાઓમાં કિશોર તારાચંદ પવાર (ઓટોરિક્ષા ડ્રાઈવર), મિલિંદ દામોદર નિકમ, નીતિન રોહિદાસ ભાલેરાવ (બંને ગાયકો), પંકજ સીતારામ બાવીસ્કર, સંજય દુડકુ જાધવ (વેપારીઓ), પરમેશ્વર દિલીપ બાવીસ્કર, સંજય રતન નિકમ (મજૂર), પંજીપાલભાઈ પટેલ (મજૂર)નો સમાવેશ થાય છે. સકપાલે (દરજી), ખાનગી કંપનીમાં નોકરી કરતા ગૌતમ રામદાસ ધિવરેનો સમાવેશ છે.