200 વિઘા જેટલી જમીનમાં પાણી ફરી વળ્યા
- માળીયામિંયાણા પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા
- માળીયામિંયાણા પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા અનેક ખેતરો જળબંબોળ
મોરબી, તા. 26 જૂન, 2020, શુક્રવાર
માળીયા તાલુકાના ગામોમાં અવારનવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોને નુકશાન થતું હોય છે ગત રાત્રીએ પણ આવું જ બન્યું હતું અને કેનાલના પાણી આસપાસના ૨૦૦ વીઘા ખેતરોમાં ફરી વળ્યા હતા જેને પગલે આજે કેનાલના અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી અને ગાબડા રીપેરીંગની ખાતરી આપી હતી જોકે ખેડૂતોને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
નર્મદા નિગમને રાત્રે જાણ કરી તો છેક બીજા દિવસે બપોરે અધિકારીઓ આવતા ખેડૂતોને નુકશાન, આગામી ૩થી ૪ દિવસ ચાલશે સમારકામ
માળીયા તાલુકામાંથી પસાર થતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં ગત રાત્રીના ગાબડું પડયું હતું અને કેનાલમાં ગાબડાને પગલે પાણી નજીકના આશરે ૨૦૦ વીઘા જેટલા વિસ્તારમાં ફરી વળ્યા હતા જેથી ખેડૂતોના પાકો બળી ગયા હતા જે અંગે ખેડૂતો જણાવે છે કે, કેનાલમાં ગાબડાથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા ખેડૂતોને કાયમી મુશ્કેલીનો સામનો કરવાનો જ આવે છે.
અગાઉ કોરોના મહામારીએ ખેડૂતોને રડાવ્યા હતા તો બાદમાં તીડના આક્રમણે ખેડૂતોને નુકશાન કર્યું હતું તે ઉપરાંત છેલ્લા બે વર્ષથી ખેડૂતોને પાકવીમો મળ્યો નથી. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી અને માંગે ત્યારે પાણી પણ મળતું નથી તો કેનાલમાં પાણી છોડે ત્યારે ગાબડા પડતા નુકશાન વેઠવાનો વારો આવે છે. વધુમાં ખેડૂતો જણાવે છે કે, કાલે રાત્રે ગાબડાની જાણ થતા સરપંચ અને નર્મદા નિગમને જાણ કરતા આજે બપોરે અધિકારીઓ આવ્યા હતા અને બાહેંધરી આપી હતી જોકે તેના ખેતરમાં ચાર વર્ષથી પાણીનો પ્રશ્ન હોવાનું પણ જણાવ્યું હતું.
કેનાલમાં ગાબડાને પગલે નિગમના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. જેમાં સૌરાષ્ટ્ર શાખા પેટા વિભાગના મદદનીશ ઈજનેર નીકુલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાત્રીના ગામના સરપંચે ફોન કરી જાણ કરી હતી જોકે રાત્રીના પાણી ભરેલ હોવાથી સ્થળની મુલાકાત લઇ શકાય તેમ ના હતી અને પરિસ્થિતિનો તાગ મેળવવો મુશ્કેલ હતો. જેથી આજે વિઝીટ માટે આવ્યા હતા અન્ય ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને પાણી છોડયું હતું દરમિયાન વરસાદ થતા અને સાયફન પાસે કચરો હોવાથી ગાબડું પડયું હતું. જે ૩-૪ દિવસમાં રીપેરીંગ કરવાની બાહેંધરી આપી છે તેમજ આ વિસ્તારમાં વાવેતર થયાનું જણાયું ના હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું.