મોરબીમાં બે ભત્રીજા સહિતના છ શખ્સો દ્વારા ટ્રાવેલ્સ સંચાલકની હત્યા
- ત્રણ રાઉન્ડ ફાયરીંગ બાદ તલવારના ઘા ઝીંક્યા
- રૂપિયાની લેતી-દેતી મુદે ચાલતી માથાકુટના સમાધાન માટે બોલાવીને જીવલેણ હુમલો, ભાણેજ અને ડ્રાઈવર ઘાયલ
મોરબી, તા. 2 મે 2019, ગુરુવાર
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલકની આજે વહેલી સવારે રૂપિયાની લેતીદેતીમાં તેના બે ભત્રીજા સહિત છ શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો. ફાયરીંગ અને તલવારથી હુમલામાં ભાણેજ અને ડ્રાઇવરને ઇજા પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
બનાવની મળતી વિગત મુજબ, મોરબીના ગ્રીન ચોક વિસ્તરમાં રહેતા ધુ્રવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાને ટ્રાવેલ્સનો વ્યવસાય છે. જેની આજે વહેલી સવાર ૪ વાગ્યે સામા કાંઠે બાપુના બાવલા પાસે ત્રણ રાઉન્ડ ફાયરીંગ અને તલવારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
હત્યા - હુમલામાં બનાવમાં ઘાયલ ભાણેજ અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (રહે. વાવડી રોડ, મોરબી)એ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી બે ભત્રીજા જયરાજસિંહ અને અજયસિંહ વિજયસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા ઉપરાંત મુકેશ ભરવાડ, કુમારભાઇ અને એક અજાણ્યો માણસ (રહે. બધા મોરબી)એ એકસંપ કરી કાકા ધુ્રવકુમાર ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યા નીપજાવી છે. જેમાં મરણજનારના ડ્રાઇવર ધીમંતભાઈએ આરોપી જયરાજસિંહ જાડેજા પાસેથી ઉછીના રૂપિયા લીધેલા હતા. જે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો.
જેનો ખાર રાખી આરોપીઓએ સમાધાન માટે બોલાવીને બે કારમાં આવીને મારી નાખવાના ઇરાદે ગાડી ઉપર ફાયરીંગ કરી તેમજ તલવાર વડે મરણ જનાર ધુ્રવકુમાર ઉર્ફે ટીનુભઆ પ્રહલાદસિંહ જાડેજાને ઘા ઝીકી દેતા ગંભીર ઇજા કરી મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવર ધીમંતભાઈને તથા ભાણેજ અર્જુનસિંહને ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે હત્યા તેમજ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
ગઇકાલે સાંજે પિતા વિજયસિંહ જાડેજાએ આપેલા રૂપિયાની લેતીદેતી મામલે પુત્ર જયરાજસિંહને કાકા ટીનાભા સાથે માથાકુટ થઈ હતી. જેની ગઇકાલે સાંજે ધુ્રવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજા તેમજ અર્જુનસિંહ ઝાલા સામે ફરિયાદ ૫ણ નોંધવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે સમાધાન માટે એકત્ર થયા બાદ મામલો બીચક્યો હતો અને ફાયરીંગ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા કાકાનું મોત નીપજ્યું હતું.
વળી હત્યાના બનાવમાં મૃતક ધુ્રવકુમારસિંહ બે હત્યા કેસમાં સંડોવાયેલા હતા મૃતક ધુ્રવકુમારસિંહ તેના હત્યારા ભત્રીજાઓના પિતા એવા પોતાના ભાઇ વિજયસિંહ તેમજ અન્ય આરોપી મુકેશ ભરવાડ સાથે મળીને અગાઉ હત્યા જેવા ગંભીર ગુન્હાને અંજામ આપ્યો હતો. આજે વહેલી સવારે ટીનુભા જાડેજાની હત્યા કરનાર છ આરોપીઓમાંથી જયરાજસિંહ અને અજયસિંહ બંને તેના સગા ભત્રીજા તેમજ દિગ્વિજયસિંહ ઝાલા સંબુધી છે. આમ હત્યા કરનાર છમાંથી ત્રણ આરોપી મૃતકના સગા હતા.
થોડા સમય પૂર્વે જ પેરોલ પર છૂટી લગ્ન કરેલા
મોરબીમાં આજે વહેલી સવારે બે ભત્રીજાએ કાકાની હત્યા કરી હોય, જે મૃતક ટીનુભાના લગ્ન થોડા સમય પૂર્વે જ થયા હતા. હત્યા કેસમાં જેલાં બંધ મૃતક ધુ્રવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પેરેલ પર છૂટયા બાદ થોડા સમય પૂર્વે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનનું સુખ તેના નસીબમાં ન હોય તેના જ બે સગા ભત્રીજાઓએ અન્ય સાથે મળીને કાકાને રહેંસી નાખ્યા હતા.